Dakor,તા,25
આંધ્રપ્રદેશના તિરુપતિના પ્રસિદ્ધ મંદિરમાં પ્રસાદના વિવાદ બાદ હવે ગુજરાતના યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં અપાતી લાડુની પ્રસાદીની તપાસ થાય તેવી મંદિરના સેવક દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી માંગણી કરાઈ છે.
પહેલા જામખંભાળિયાના ઘીથી એક મહિના સુધી લાડુની પ્રસાદીમાં કંઈ થતું ન હતું : સેવક (પૂજારી)
તિરુપતિના મંદિરમાં પ્રસાદના વિવાદ બાદ પ્રશાસન દ્વારા તેની તપાસ કરાઈ હતી. ત્યારે હવે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરમાં પૂજારી દ્વારા ભક્તોને અપાતી લાડુની પ્રસાદીની યોગ્ય તપાસ થાય તેવી માંગણી સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સેવક આશિષના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં મૂકેલી પોસ્ટમાં કોમેન્ટ બોક્સમાં લાડુ પ્રસાદીનો વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે. ત્યારે સેવક- પૂજારીની સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટ ચર્ચાનો વિષય બન્યો છે.
આ અંગે ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારી આશિષ સેવકે જણાવ્યું છે કે, પહેલા મંદિરમાં જામખંભાળિયાનું ઘી આવતું હતું ત્યારે એક મહિના સુધી લાડુને કંઈ થતું ન હતું. અત્યારના ઘીથી લાડુમાં ચાર-પાંચ દિવસમાં જ વાસ આવવા માંડે છે, લાડુ વળતા નથી.
અમૂલ ઘીના જથ્થાનો રિપોર્ટ આવ્યા બાદ પ્રસાદ બને છે : મંદિરના ચેરમેન
ડાકોર મંદિરના ચેરમેન પરિન્દુ ભગતે કહ્યું હતું કે, મંદિરના પ્રસાદમાં ત્રણ વસ્તુનો ઉપયોગ કરાય છે. ઘઉંનો લોટ મઘ્યપ્રદેશથી મંગાવાય છે. સાકરમાં કોઈ ભેળસેળ થાય નહીં. ઘીનો પ્રશ્ન મારા આવ્યા પછી થતો નથી. કારણ કે, અમે અમૂલ ઘીનો ઉપયોગ કરીએ છીએ. ઘીના જથ્થાનો એનડીડીબીનો રિપોર્ટ લાવીએ છીએ માટે ડાકોર મંદિરના પ્રસાદમાં કોઈ ભેળસેળ થતી નથી.