Vadodara નો યુવાન પાકિસ્તાન પહોંચ્યો, રાવલપિંડીના 5000 વર્ષ પૌરાણિક શિવમંદિરમાં દર્શન કર્યાં

Share:

લાહોર :
મહાશિવરાત્રિ પર્વની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વડોદરાના એક યુવાને આ વર્ષે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી પાકિસ્તાનમાં આવેલા પૌરાણિક કટાસરાજ શિવમંદિરમાં ધામધૂમથી કરી હતી અને શિવ ભક્તિમાં લીન થયો હતો. તેમની સાથે ભાવનગરના બે શ્રદ્ધાળુઓ પણ હતા.

વડોદરાના યુવક પંકજ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ગત તા. 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી મારે પાકિસ્તાનમાં આવેલા પ્રાચિન શિવ મંદિર કટાસરાજ ખાતે કરવાની ઇચ્છા હતી.

જેથી મેં ભારત સરકાર તરફથી મળતી સુવિધાઓની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે મારા એક પરિચિત મારફતે મને આ યાત્રા માટે પાકિસ્તાનના વિઝા સહિતની તમામ સુવિધાઓ અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

માહિતી મળતા મેં પાકિસ્તાનના વિઝા મેળવવા માટે જરૂરી દસ્તાવેજો એકત્ર કર્યા અને થોડા દિવસોમાં મારા વિઝા આવી ગયા હતા. ગત તા. 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધીના વિઝા આપવામાં આવ્યા હતા. યાત્રામાં મારી સાથે મારા સહિત કુલ 105 યાત્રી હતા. અમારી યાત્રા અમૃતસરથી શરૂ થઈ હતી. અમે વાઘા અટારી બોર્ડરથી પાકિસ્તાન પહોંચ્યા હતા.

સૌથી પહેલાં અમે લાહોરમાં ડેરા સાહેબ ગુરૂદ્વારામાં રોકાણ કર્યું હતું. ત્યાર બાદ પાકિસ્તાનમાં અમારી યાત્રા શરૂ થઈ હતી. પાક.ના રાવલપિંડીમાં આવેલા ચકવાસ ગામમાં કટાસરાજ શિવમંદિર પહોંચીને મહાશિવરાત્રિ પર્વની ખુબ ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી. આ યાત્રા દર વર્ષે યોજાય છે.

હું પાકિસ્તાન પહોંચ્યો ત્યારે મને એક ક્ષણ માટે પણ એવો અહેસાસ થયો નહીં કે, હું એક દુશ્મન દેશમાં છું. કારણ કે, જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે વાઘા બોર્ડરથી જ પાકિસ્તાન આર્મી અને ડેલિગેટ્સે ખૂબ જ સારૂ વર્તન કર્યું હતું.

આ સાથે વાઘા બોર્ડર પર ભારતીય સેના દ્વારા પણ અમારો જુસ્સો વધારવામાં આવ્યો હતો. પાકિસ્તાનના લોકો પણ ઇચ્છે છે કે, ભારતીય પ્રવાસીઓ આવે અને શિવરાત્રિની ઉજવણી કરે.

મેં ભારતના અનેક શિવમંદિરોમાં દર્શનનો લ્હાવો લીધો છે. એક શિવ ભક્ત હોવાથી મેં જ્યારે જાણ્યું કે, પાકિસ્તાનમાં પણ પૌરાણિક શિવમંદિર આવેલું છે, જેથી મહાશિવરાત્રિએ કટાસરાજ શિવમંદિરે દર્શન કરવા માટે છેલ્લા ત્રણ મહિનાથી તૈયારી કરી રહ્યો હતો. અમૃતસરમાં એક ભાઇનો સંપર્ક થયો અને તેમણે મારી પાસે માત્ર 300 રૂપિયા અને પાસપોર્ટ માંગ્યો અને આ યાત્રાનો મન લ્હાવો મળ્યો છે. આ યાત્રામાં માત્ર 7000નો ખર્ચ થયો હતો.

રાવલપિંડીમાં આવેલા ચકવાસ ગામમાં પહાડી વિસ્તાર છે, જ્યાં કટસરાજ શિવમંદિર આવેલું છે. કહેવાય છે કે, આ મંદિર 5000 વર્ષ જુનું છે અને અહીં સ્વયંભુ શિવલિંગ છે. આ મંદિરમાં રોજ સવારે આરતી થાય છે. કટસરાજ શિવમંદિર પરિસરમાં કૃષ્ણ અને હનુમાનજીનું પણ મંદિર છે. મહાશિવરાત્રિએ મંદિરમાં શિવના ભજન સાથે અમે 105 ભક્તોએ ઉજવણી કરી હતી.

તેના સ્થાનિક લોકો અને પોલીસકર્મીઓ અને પાકિસ્તાન આર્મી જવાનોએ પણ ભજન સાથે અમારી સાથે પરંપરાગત ડાન્સ કર્યો હતો. એ લોકોએ અમારા માટે ફટાકડાની પણ વ્યવસ્થા કરી હતી જેથી એને ફટાકડા ફોડ્યા હતા. ત્યાં દિવાળી જેવા માહોલ હતો. આખા મંદિરને અમે દીવાઓથી શણગાર્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *