માર્શે પર્થ ટેસ્ટ પહેલા કહ્યું હતું કે, જો કોહલી ૩૦ રન સુધી આઉટ ન થયો તો તે તેને ખભા પર થબડાવીને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે
Canberra, તા.૧૬
ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝ જીતવાના ઈરાદા સાથે સતત ત્રીજી વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહોંચી છે. આ માટે ખેલાડીઓ સખત મહેનત કરી રહ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી પણ આ સીરિઝ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. પરંતુ વિરાટ કોહલીનું પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. તે છેલ્લી ૧૦ ઇનિંગ્સમાં માત્ર ૨૦ની એવરેજથી રન બનાવી શક્યો છે. તેમ છતાં પર્થમાં શરૂ થઈ રહેલી મેચ પહેલા કોહલી વિરોધી ટીમમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કાંગારૂ ટીમ તેને હળવાશથી નથી લેતી. તેની પાછળનું કારણ ઓસ્ટ્રેલિયામાં તેનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન છે. તેથી, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ કોહલીને શાંત રાખવા માટે કેટલીક ખાસ યોજનાઓ તૈયાર કરી છે. મિશેલ માર્શે તો કોહલીને પોતાના બેટને શાંત રાખવા માટેની ધમકી પણ આપી દીધી છે.
વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ફોર્મમાં નથી. પરંતુ ઓસ્ટ્રેલિયા તેના મનપસંદ સ્થાનો અને ટીમોમાંથી એક રહ્યું છે. ત્યાં તેણે ૧૩ મેચમાં ૫૪.૦૮ની એવરેજથી ૧૩૫૩ રન બનાવ્યા, જેમાં ૬ સદી અને ૪ અર્ધસદી સામેલ છે. તેના રેકોર્ડને જોતા મિશેલ માર્શે તેને જલ્દી આઉટ કરવાની યોજના બનાવી છે.
માર્શે પર્થ ટેસ્ટ પહેલા કહ્યું હતું કે, જો કોહલી ૩૦ રન સુધી આઉટ ન થયો તો તે તેને ખભા પર થબડાવીને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે, જેથી તે પોતાની વિકેટ ગુમાવે. વળી, તેના સાથી ખેલાડી માર્નસ લાબુશેને એક અલગ પ્લાન જણાવ્યો. તેણે કહ્યું હતું કે, ’વિરાટને મોટો સ્કોર કરવાથી રોકવા માટે તેને કમ્ફર્ટ ઝોનથી બહાર કાઢવો પડશે અને તેને પોતાની ગેમ બદલવા માટે મજબૂર કરવો પડશે. જો તેને રમવાની તક આપવામાં આવે તો તે ખૂબ જ ખતરનાક ખેલાડી બની જાય છે.’
કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માને છે કે, વિરાટ કોહલીમાં હવે જૂની વાત નથી રહી. તે પહેલાં જેવો ખતરનાક નથી, જે હંમેશા લડવા માટે તૈયાર હતો. ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાના મતે કોહલી હવે બદલાઈ ગયો છે અને તેની મજાક ઉડાવી શકાય છે.
જો કે, તેણે સ્વીકાર્યું કે તે હજુ પણ રન બનાવી શકે છે. આઈપીએલમાં વિરાટના સાથી રહેલા ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે કહ્યું કે, તે તેની સામે ફરીથી એક નવા ’યુદ્ધ’ માટે ખૂબ ઉત્સુક છે. તેણે કહ્યું કે તે વિરાટને ઉશ્કેરવાનો પ્રયાસ નહીં કરે, તે તેની બોલિંગથી જ જવાબ આપશે.