Gandhinagar, તા.૨૦
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આજે (૨૦મી ફેબ્રુઆરી) ગુજરાતનું વર્ષ ૨૦૨૫-૨૬નું ૩ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ખેડૂતો અને પશુપાલન માટે વિશેષ જાહેરાત અને જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેમ કે, દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના, મરઘાપાલન, પશુઓ માટે કેટલ શેડ અને ખાણદાણ માટેની સહાયનો મહત્તમ લાભ પશુપાલકોને મળશે. ગૌચરના રક્ષણ માટે ફેન્સીંગ તથા તેમાં ઘાસચારાનું વાવેતર થઇ શકે તે માટે ડ્રીપ ઇરીગેશન વ્યવસ્થા કરવામાં આવશે. ગૌશાળાઓને માળખાકીય સુવિધાઓ જેમ કે, પાણી, વીજળી વગેરેથી સુસજ્જ કરવા માટે આયોજન કરવામાં આવશે. રાજ્યની ૨૦૮૯ સરકારી પશુ સારવાર સંસ્થાઓ ખાતેથી વિનામૂલ્યે પશુ સારવાર પૂરી પાડવા મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના હેઠળ ૪૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. જ્યારે પશુ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા નવા ૨૫૦ સ્થાયી પશુ દવાખાના અને નવા ૧૫૦ ફરતા પશુ દવાખાના શરૂ કરવા માટે કુલ ૩૪ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
ગીર ગાયના આનુવાંશિક ઓલાદ સુધારણા, સંવર્ધન અને સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવા ૨૩ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. રાજ્યમાં પશુઓમાં વ્યંધત્વની સારવાર માટેના ૧૮ હજારથી વધુ કેમ્પનું આયોજન કરવા કુલ ૧૩ કરોડ રૂપિયાની જોગવાઈ. પશુના જન્મ બાદ બે વર્ષ સુધી પાડી-વાછરડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા પશુપાલકોને સહાયરૂપ થવા કુલ ૧૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.