Israel-Iran,તા.03
ઈઝરાયેલે હમાસના ટોચના કમાન્ડર ઈસ્માઈલ હાનિયા મોતને ઘાટ ઉતાર્યા બાદ ગમેત્યારે યુદ્ધ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે રાજધાની તેહરાનમાં કથિત મોટી એરસ્ટ્રાઇક કરીને હાનિયાને મારવાનું ઓપરેશન પાર પાડ્યા બાદ ઈરાન પણ ભડકે બડ્યું છે અને તેણે ઈઝરાયેલ સાથે બદલો લેવાની શપથ લીધી છે, ત્યારે બંને દેશો વચ્ચે વધેલા સંઘર્ષને ધ્યને રાખી ભારતીય નાગરિકો માટે અડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
ઈઝરાયેલમાં રહેતા ભારતીયો સાવધાન
ઈઝરાયેલના તેલ-અવિવમાં આવેલા ભારતીય દુતાવાસે ભારતીય નાગરિકો માટે ખાસ દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. દુતાવાસે કહ્યું છે કે, વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી ઈઝરાયેલમાં રહેતા તમામ ભારતીયોને નિર્દેશ કરવામાં આવે છે કે, તેઓ બિનજરૂરી પ્રવાસ ટાળે અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ તકેદારી અને સલામતી સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરો.
ભારતીય દુતાવાસે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
ભારતીય દુતાવાસે કહ્યું છે કે, ઈઝરાયેલમાં રહેતા ભારતીયો એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરવાનું ટાળે અને આશ્રયસ્થાનોની નજીક રહે. અમારું દુતાવાસ સતત ઈઝરાયેલી સરકારના સંપર્કમાં છે અને અમે ભારતીય નાગરિકોની સુરક્ષાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જો કોઈ ઈમરજન્સી સ્થિતિ ઉભી થાય તો તેઓ દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. આ માટે 972-547520711 અને 972-543278392 હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. આ ઉપરાંત ભારતીયો એમ્બેસીની વેબસાઈટ પર પણ સંપર્ક કરી શકે છે.
ગઈકાલે લેબનોન અંગે જાહેર કરાઈ હતી એડવાઈઝરી
ઈઝરાયેલ-ઈરાન વચ્ચે તણાવને ધ્યાને રાખી ભારત સરકાર એક્શનમાં આવી ગઈ છે અને ભારતીયોને તાત્કાલીક લેબનોન છોડવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત એર ઈન્ડિયાએ પણ તેલ અવીવ જતી તમામ ફ્લાઈટો રદ કરી દીધી છે. સરકારે ઈઝરાયેલ જનારા તમામ પ્રવાસીઓને તેલ-અવીવની યાત્રા ટાળવાના આદેશ જારી કરાયા છે.
ઇઝરાયલે ચાર સૌથી મોટા દુશ્મનોને મારી નાખ્યા
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલે (Israel) ત્રણ દિવસમાં તેના ચાર સૌથી મોટા દુશ્મનોને મારી નાખ્યા છે. મંગળવારે લેબનોનની (Lebanon) રાજધાની બેરૂત (Beirut)માં ફવાદ શુકર (Fouad Shukr)ની, બુધવારે તેહરાનમાં હમાસના કમાન્ડર વડા ઈસ્માઈલ હાનિયા (Ismail Haniyeh) અને ગુરુવારે બેરૂતમાં ઈરાનના સુરક્ષા સલાહકાર મિલાદ બેદી (Milad Bedi)ની હત્યા કરવામાં આવી હતી. ઇઝરાયલી સેનાએ પણ પુષ્ટિ કરી હતી કે ગયા મહિને તેના એક હુમલામાં મોહમ્મદ ડેઇફ પણ માર્યા ગયો હતો. ટોચના નેતાઓના મોત હમાસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેના એક દિવસ પહેલા જ તેહરાનમાં તેના રાજકીય વડાની હત્યા કરવામાં આવી અને હવે લશ્કરી વડાની પણ હત્યા કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે હમાસ પાસે હાલમાં રાજદ્વારી અને લશ્કરી સ્તરે કોઈ નેતૃત્વ કરનાર લીડર નથી.