‘કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ’, મહેસાણા બાદ Vadodara BJP ના કાર્યકર સામે દુષ્કર્મની ફરિયાદ

Share:

Vadodara,તા,23

વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરૂદ્ધ પરણિતા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવતાં ભાજપમાં હડકંપ મચી ગયો છે. પીડિત મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભાજપનો આ કાર્યકર્તા ચૂંટણી દરમિયાન ભાજપના આગેવાનો સાથે સક્રિય હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ છે.

નંદેસરી પોલીસ મથકમાં પરણિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર રવિવારે રાત્રે જ્યારે તે સૂતી હતી તે દરમિયાન આકાશ ભગવાનભાઇ ગોહિલ (રહે. કૃષ્ણનગર, અનગઢ ગામ, વડોદરા) નામનો વ્યક્તિ તેના ઘરે ઘૂસી આવ્યો હતો અને બળજબરીપૂર્વક તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આકાશે આ વાત કોઈને પણ કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો.

આ ઉપરાંત પીડિતાના ફોનમાં વોટ્સએપ ચેટ પણ ડિલીટ કરી હોવાની વાત પણ પરણિતાએ કરી હતી. આ અંગે પીડીતાએ પરિવારજનોને જાણ કરતાં તેમણે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ પરણિતાના મેડિકલ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત એફ.એસ.એસ.એલની મદદ લઇને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

મહેસાણા જિલ્લામાં પણ બની હતી આવી ઘટના

આજ પ્રકારનો એક કિસ્સો મહેસાણા જિલ્લાના ચાણસ્મા વિસ્તારમાં પણ બન્યો છે. જેમાં એક સગીરા ઉપર થયેલા દુષ્કર્મની ચકચારી ઘટનામાં મહેસાણા જીલ્લા ભાજપના યુવા મોરચાના નેતાની સંડોવણી બહાર આવી છે. એટલું જ નહીં, ભુવાની પૂછપરછના આધારે ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે.

એક તરફ, ભાજપ બળાત્કારના વિરોધમાં ગુજરાત સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શન કરે છે, જ્યારે બીજી તરફ, ખુદ ભાજપના નેતાઓની દુષ્કર્મના કેસના સંડોવણીના કિસ્સા પ્રકાશમાં આવે છે, ત્યારે ભાજપના પ્રદેશ-કેન્દ્રીય નેતાઓ મૌન ધારણ કરી લે છે. ડ્રગ્સની હેરાફેરી હોય કે પછી દુષ્કર્મ પ્રકરણ હોય. અનેક કિસ્સામાં ભાજપના નેતા-કાર્યકરોની જ સંડોવણી સામે આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *