Rajkot,તા.૨૧
રાજ્યમાં બેવડી ઋતુના પગલે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુના ૧૯ જેટલા કેસ નોંધાયા છે. મેલેરિયાનો એક અને ટાઈફોડના એક સાથે ૫ કેસ નોંધાયા છે. તાવ, શરદી, ઉધરસ સહિત વાયરલ ઇન્ફેક્શન સહિતના ૧૭૯૮ કેસ નોંધાયા છે.મનપાની આરોગ્ય શાખાની પોરાનાશક કામગીરી અને જાગૃતિ અભિયાન નિષ્ફળ ગયુ છે.
બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં માત્ર ૧૭ દિવસમાં ડેન્ગ્યુના ૩૪૫ કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી જુલાઈમાં નોંધાયેલ કુલ કેસના ૫૦ ટકા કેસ માત્ર ૧૭ દિવસમાં નોધાયા છે.
ટાઈફોઈડના ૪૮૫, મેલેરિયાના ૧૧૦, ચિકનગુનિયાના ૩૫ કેસ નોંધાયા છે.કમળાના ૨૯૯, કોલેરાના ૨૨ કેસ સામે આવ્યા છે. દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, લાંભામાં કોલેરાના વધુ કેસ સામે આવ્યા છે. ઉપર જણાવેલ કેસોમાં ખાનગી હોસ્પિટલના કેસોનો સમાવેશ નથી. ખાનગી હોસ્પિટલમાં નોંઘાયેલો આંક પણ ખૂબ જ ઊંચો હોવાની શક્યતા છે.