Rajkot માં રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિમ.ના સાંનિધ્યમાં પરમ કરૂણા મહોત્સવ યોજાયો

Share:

Rajkot,તા.20

 આ દુનિયામાં જીવતા અનેકાનેક નિ:સહાય જીવોના સહારા, અનેકોને મુસીબતમાં નિહાળી તેમના ચહેરા પર મુસ્કાન લાવનાર, અનેકોના આંસુને આનંદમાં પરિવર્તિત કરવાનો સફળ પુરુષાર્થ કરનાર મનાવતાના મસીહા, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે રાજકોટના આંગણે તા.19ના પરમ કરુણા મહોત્સવ ઉજવાયેલ. 
માતુશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ પરિવારના આંગણેથી પ્રારંભ થયેલ અનેક વિવિધતાથી શોભતી ભવ્ય શોભાયાત્રા જિનશાસન અને ગુરુવર્યોનો જય-જયકાર ગજાવતી ડુંગર દરબારમાં પહોંચતા ધર્મસભામાં પરિવર્તિત થયેલ.

આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું કે, સ્વાર્થ કેરોસીન જેવો હોય છે જ્યાં પડે ત્યાં ભડકો કરે અને પરમાર્થ ઘી જેવો હોય છે જ્યાં પડે ત્યાં દીવો પ્રગટાવે. જો આજ તમે કોઈને સહાયની આંગળી આપશો તો સહાય પામનાર આવતીકાલ કોઈને હાથ આપશે.

પરમ કરુણા મહોત્સવની યશકલગી સમાન આત્મનિર્ભર અભિયાન અંતર્ગત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા સાધર્મિક ભાઈઓને આત્મનિર્ભર બનાવવા રાજકોટ, વેરાવળ, અમદાવાદ, મુંબઈમાં અનેક રીક્ષા અર્પણ કર્યા બાદ રાજકોટમાં ફરી એકવાર 36 સાધર્મિક ભાઈઓને રીક્ષા અર્પણ કરવામાં આવેલ.
તે સાથે જ રોટરી મીડટાઉનના સહયોગથી ’અર્હમ રોટરી મીડટાઉન સ્વાશ્રય કેન્દ્ર’ ઢેબર રોડ પર ખોલવામાં આવશે, જેના ઉદઘાટનની ઘોષણા થઈ, જેના દ્વારા બહેનોને સમાજ કલ્યાણ અર્થે વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે. 

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ તેમજ લુક એન લર્ન જૈન જ્ઞાન ધામમાં જોડાયેલા યુવાનો, દીદીઓ, બાળકો તેમજ તેમના પરિવારજનો માટે રાજકોટમાં પરમ મેડિકલ સેવાનો પ્રારંભ કરેલ. આ સાથે જ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી થતા અનેકાનેક માનવતા અને જીવદયા કાર્યોની અનુમોદના એવમ સત્કાર્યોની શૃંખલામાં અનેક નવ્ય સત્કાર્યોની ઉદઘોષણા થતા વાતાવરણ હર્ષોલ્લાસિત થયું હતું.

આ અવસરે લુક એન લર્નના નાના ભૂલકાઓએ નૃત્ય પ્રસ્તુતિ તેમજ અર્હમ યુવા સેવા ગ્રુપના યુવાનોએ તેમજ પારસધામ યુથના બાળકોએ ગુરુદેવની પ્રેરણાથી ચાલતા પ્રકલ્પોમાં સેવા અર્પણ કરવાની તક અર્પણ કરવા માટે ઉપકારની અભિવ્યક્તિ કરેલ. તે સાથે જ સમગ્ર રાજકોટના ઉપસ્થિત શ્રી સંઘના પ્રતિનિધિઓએ પરમ ગુરુદેવને રાજકોટમાં વધુ સમય માટે સ્થિરતા કરવા માટે વિનંતી કરેલ. 

જીવનમાં હર શ્વાસમાં કરુણાને ધબકતી રાખવી છે તેવા સંકલ્પ સાથે ઉદઘોષિત પ્રકલ્પોની અનુમોદના એવમ સ્વયં જોડાઈ જવાના ભાવિકોના આંતરિક સંકલ્પ સાથે સભા પરિપૂર્ણ થયેલ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *