Lucknow,તા.૧૪
રાહુલ ગાંધીને લખનૌ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. લખનઉના એસીજેએમ-૩એ રાહુલ ગાંધીને ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ આરોપી તરીકે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. વીર સાવરકર પર ભડકાઉ નિવેદનના મામલામાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યા છે. કલમ ૧૫૩ અને ૫૦૫ હેઠળ ટ્રાયલ માટે તેને પ્રથમ દૃષ્ટીએ આરોપી તરીકે બોલાવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ ૨૦૨૨માં ભારત જોડો યાત્રાની આગેવાની કરી હતી અને આ દરમિયાન તેઓ યાત્રા સાથે મહારાષ્ટ્રના આકોલમાં ગયા હતા, જ્યાં તેમણે દાવો કર્યો હતો કે, સાવરકરે અંગ્રેજોની મદદ કરી હતી. સાવરકરે અંગ્રેજોને પત્ર લખીને કહ્યું હતું કે, ‘તેઓ તેમના ગુલામ રહેવા ઇચ્છે છે. સાવરકરે ડરના કારણે માફીપત્ર પર સહી કરી અને મહાત્મા ગાંધી તેમજ અન્ય નેતાઓ સાથે દગો કર્યો હતો.’
લખનઉ કોર્ટમાં વકીલ નૃપેન્દ્ર પાંડેએ રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટના અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ અંબરીશ કુમાર શ્રીવાસ્તવે અરજીને ધ્યાને લઈ સીઆરપીસીની કલમ ૧૫૬ (૩) હેઠળ તપાસના આદેશ આપ્યા હતા. કોર્ટે હજરતગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીને કેસની તપાસના આદેશ આપ્યા હતા.