Rajkot તા.28
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તા.1 માર્ચથી સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા હોય વહીવટીતંત્ર તડામાર તૈયારીઓમાં ગુંથાય ગયુ છે. વડાપ્રધાન મોદી આવતીકાલે મોડીરાત્રે જામનગર ખાતે આવી પહોંચશે અને ત્યાં સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે.
ત્યારબાદ તેઓ રવિવારે વહેલી સવારે ખાતે વનતારાની મુલાકાત લેશે અને ત્યાંથી સાસણ જઈ સિંહદર્શન કરશે તેમજ તેઓ રાત્રી રોકાણ સાસણ ખાતે કરી સોમવારે વહેલી સવારે યાત્રાધામ સોમનાથ ખાતે દર્શન અને પૂજા અર્ચના કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક યોજશે.
સોમનાથમાં બપોરનું ભોજન લીધા બાદ તેઓ ત્યાંથી નીકળી સોમવારે બપોરે હેલીકોપ્ટર મારફતે રાજકોટના હિરાસર એરપોર્ટ પર 2-30 કલાકે પહોંચશે. બાદ બપોરના 2-30 કલાકે હિરાસર એરપોર્ટથી સ્પેશ્યલ એરક્રાફટમાં દિલ્હી જવા રવાના થનાર છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હિરાસર એરપોર્ટ પર 10 થી 15 મીનીટસનું ટુંકી રોકાણ કરનાર છે. વડાપ્રધાનની આ ટ્રાન્ઝીટ વિઝીટ માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ ગ્રીનરૂમ ક્ધટ્રોલરૂમ તૈયાર કરવામાં આવનાર છે.
વડાપ્રધાન મોદીની આ ટ્રાન્ઝીટ વિઝીટ સંદર્ભે રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશી સહીતનાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો આજે બપોર બાદ હિરાસર એરપોર્ટ પર દોડી ગયો હતો. જેમાં એડવાન્સ સીકયુરીટી લાઈઝનીંગ સહીતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન અને તેમના કાફલા માટે હિરાસર એરપોર્ટ પર ચા-પાણી સહીતની વ્યવસ્થા માટે ખાસ પ્રબંધો કરવામાં આવશે.આ ઉપરાંત સિવીલ હોસ્પીટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવશે.
સર્કીટ હાઉસ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હિરાસર એરપોર્ટની આ ટ્રાન્ઝીટ વીઝીટ માટે રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા અડધો ડઝન જેટલા અધિકારીઓને વિશેષ ફરજ સોંપવામાં આવી છે.