Kolkata,તા.16
કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. મૃતક ડૉક્ટરને ન્યાય મળે તે માટે રાજ્યની સરકારી હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડૉક્ટરોએ હડતાળ શરૂ કરી છે. જેને લઈને આજે (16મી ઓગસ્ટ) OPD તથા અન્ય સર્વિસ બંધ રહેશે. જ્યારે ઈમરજન્સી સેવાઓ ચાલું રહેશે.
ડૉક્ટર આજે ઓપીડી સેવા બંધ રાખશે
કોલકાતામાં ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ થયેલી હત્યાના વિરોધમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની બી જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. આ ઘટનાના વિરોધમાં અને પીડિતાને ન્યાય મળે તેને લઈને ડોક્ટર્સ આજે કામકાજથી દૂર રહેશે. ડૉક્ટર આજે ઓપીડી સેવા બંધ રાખશે. સાથે જ ઈમરજન્સી સેવાને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડોક્ટરો હડતાળ પર
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઈન્ટર્ન ડૉક્ટર, જુનિયર અને વરિષ્ઠ નિવાસી ડૉક્ટરો આજે OPD અને વોર્ડ સહિતની તમામ બિન ઈમરજન્સી સેવાઓથી દૂર રહેશે. આ સાથે જ 400થી વધુ તબીબોએ વિરોધ કરી હડતાળ શરૂ કરી છે. એટલું જ નહીં જ્યાં સુધી પશ્ચિમ બંગાળ ડૉક્ટર્સ એસોશિએશનની તમામ માંગ પૂરી ના થાય ત્યાં સુધી વિરોધ અને હડતાળ ડૉક્ટર દ્વારા ચાલું રાખવામાં આવશે.
સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોની હડતાળથી ઓપીડી શરૂ થઈ નથી. કેટલીક ઓપીડી ચાલુ થઈ છે. જો કે, રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે. દર્દીઓ દૂર દૂરથી આવતા હોવાથી પરેશાન થયા છે. સિવિલ હોસ્પિટલમાં 700થી 800 જેટલા ફરજ બજાવતા ઇન્ટર્ન, રેસિડેન્ટ સહિતના તબીબો ઇમર્જન્સી સેવા સિવાયની સેવાઓથી દૂર રહ્યા છે. જ્યાં સુધી કડક કાર્યવાહી અને ન્યાય નહીં મળે ત્યા સુઘી અચોક્કસ મુદત સુધી હડતાળ પર રહેશે.