Rajkot,તા.20
જીવન વીમા સંસ્થા એલ.આઇ.સી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સ્તરના કર્મચારી સંગઠન ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઇસ એસોસિએશન દ્વારા આજે તા. 20મીએ ગુરુવારે બપોરે 12:30 થી 1.30 સુધી એક કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાલ પાળવાના આપેલા એલાન અનુસાર આજે રાજકોટના એલ.આઇ.સી કર્મચારીઓએ એક કલાકની હડતાલ પાડી હતી.
હડતાલના પ્રારંભે 12:30 પછી LIC કર્મચારીઓ મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે આવેલી એલઆઇસી કચેરીના પ્રાંગણમાં એકઠા થઈ અને કર્મચારીઓની નવી ભરતી કરવાની માગણી તથા કર્મચારી સંગઠન AIIEA અને મેનેજમેન્ટ સત્તાવાર માન્યતા આપે તે માગણી સાથે સૂત્રોચાર કર્યા હતા.
રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છની એલ.આઇ.સી ની મોટાભાગની શાખાઓ જામનગર જુનાગઢ કેશોદ વેરાવળ ઉના ભુજ ગાંધીધામ વગેરે શહેરની શાખાઓમાં પણ AIIEAના સભ્ય એવા કર્મચારીઓએ એક કલાકની હડતાલ પાડી સુત્રોચાર કર્યા હતા.
AIIEAના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને પશ્ચિમ ક્ષેત્રના અગ્રણી યુનિયન લીડર હર્ષદ પોપટની આગેવાની હેઠળ કર્મચારીઓએ હડતાલના પ્રાંરભમાં વિશાળ સંખ્યામાં એકત્ર થઇ સૂત્રોચ્ચાર કર્યા હતા. હર્ષદ પોપટે જણાવ્યું હતું કે LIC OF INDIA માં વહીવટી પાંખમાં છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓની ભરતી થઈ નથી.
બીજી બાજુ કર્મચારીઓ દર વર્ષે વય મર્યાદાને કારણે સેવા નિવૃત થઈ રહ્યા છે. તેથી ભરતી કરવી ખૂબ જરૂરી છે. આ મુખ્ય માંગણી સાથે આજની આ એક કલાકની હડતાલ પાડવામાં આવી છે. આ માંગણી ઉપરાંત કર્મચારી સંગઠન AIIEA ને સત્તાવાર માન્યતા આપવામાં આવે તેવી માંગણી છે.