PUNE,તા.18
ચોમાસાના આગમન સાથે મચ્છરજન્ય રોગોનું જોખમ વધી જાય છે. એવામાં પૂણેમાં ચિકનગુનિયાએ લોકોની ચિંતા વધારી દીધી છે. ચિકનગુનિયાનો એક નવો વેરિઅન્ટ પુણેમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ નવો વેરિઅન્ટ માનવ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ નવા વેરિઅન્ટના લક્ષણો પણ ચિકનગુનિયાથી તદ્દન અલગ છે. આનો ચેપ લાગ્યા બાદ દર્દીમાં વિવિધ ગંભીર લક્ષણો જોવા મળે છે.
દર્દીઓમાં આ લક્ષણો જોવા મળે છે
– ચિકનગુનિયાના નવા વેરિઅન્ટનો ચેપ લાગ્યા બાદ કેટલાક દર્દીઓમાં લકવાનાં લક્ષણો જોવા મળી રહ્યાં છે
– આ વાયરસથી સંક્રમિત કેટલાક લોકોને ડેન્ગ્યુની જેમ પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ જાય છે
– ચિકનગુનિયાના નવા વેરિઅન્ટથી સંક્રમિત થયા પછી, કેટલાક લોકોને નાકની આસપાસ કાળું થઈ જાય છે
– તેમજ ચિકનગુનિયામાં તાવ, સાંધામાં દુખાવો, માથાનો દુખાવો, થાક અને ઉબકા જેવા લક્ષણો પણ જોવા મળે છે.
જો તમને તમારા શરીરમાં આવા લક્ષણો દેખાય છે, તો તમારે કોઈપણ વિલંબ કર્યા વિના શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
2 હજારથી વધુ કેસ સામે આવ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૂણેમાં અત્યાર સુધીમાં ચિકનગુનિયાના મ્યૂટેટિડ વાયરસના 2 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં 20 ટકા એવા દર્દી છે જેમાં વિચિત્ર લક્ષણ જોવા મળ્યા હોય. આ વધતા કેસના કારણે લોકોની સાથે સાથે હેલ્થ એક્સપર્ટ પણ ચિંતામાં મુકાય ગયા છે.
માહિતી અનુસાર, ડોકટરોએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) પાસેથી તાત્કાલિક ઇન્ટરવેંશનની માંગ કરી છે જેથી કરીને વેરિઅન્ટને ફેલાતો અટકાવી શકાય.
ચિકનગુનિયા કેમ બદલાઈ રહ્યો છે?
એક્સપર્ટ અનુસાર કોઈપણ વાયરસ પોતાને લાંબા સમય સુધી જીવંત રાખવામાં માટે પોતાનામાં ફેરફાર કર્યા કરે છે. જેને મ્યૂટેશન કહે છે. મ્યૂટેશન થયા બાદ વાયરસની એક નવો સ્ટ્રેન બને છે. જે પહેલા કરતા થોડો અલગ અને ખતરનાક હોય છે. એવું શક્ય છે કે ચિકનગુનિયા વાયરસમાં થઈ રહેલા ફેરફારોને કારણે તેના લક્ષણો બદલાઈ રહ્યા છે અને ગંભીર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે નવા લક્ષણોવાળા દર્દીઓના નમૂનાઓનું NIV માં મોટા પાયે પરીક્ષણ કરવામાં આવે જેથી તે જાણી શકાય કે સ્ટ્રેન કયો છે અને તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે.