Morbi, તા.18
મોરબી જિલ્લામાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી લાઇન પસાર થાય છે અને જે ખેડૂતોના ખેતરમાંથી આ લાઇન નીકળે છે તેને કંપની તરફથી ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતો તે લાઇનનો વિરોધ કરી રહ્યા છે તેવામાં આજે માળીયા (મી) તાલુકાનાં ખાખરેચી ગામે કંપની દ્વારા પોલીસ બદોબસ્ત સાથે કામ શરૂ કરવામાં આવ્યું હતું.
જેથી કરીને ગામના ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો અને તેઓને પૂરું વળતર કંપની દ્વારા નહીં આપવામાં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ જ રાખવામા આવશે તેવી ચોંકી ઉચ્ચારી છે.કચ્છના લાકડીયાથી અમદાવાદ તરફ 765 કેવી ની વીજ લાઇન પથરવાનું કામ હાલમાં પાવર ગ્રીડ કરવામાં આવી રહ્યું છે અને તેની સામે અગાઉ પણ ખેડૂતો દ્વારા વળતર બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો.
તો પણ કંપનીએ ખેડૂતોને પૂરતું વળતર આપેલ નથી. અને તેવામાં માળીયા(મી.) તાલુકાના ખાખરેચી ગામ પાસે કંપની વાળાએ હાલમાં પોલીસ પ્રોટેકશન સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી કરીને ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા સ્થળ ઉપર એકત્રિત થઈને કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે.
તો પણ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને પૂરું વળતર કેમ આપવામાં આવી રહ્યું નથી તે સહુથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. અત્રે ઉલેખનીય છે કે, ખેડૂતો વીજ લાઇન કે વીજ પોલનો વિરોધ માત્રને માત્ર ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે તેના માટે કરી રહ્યા છે તેમ છતાં પણ રાજકીય આગેવાનો કે અધિકારીઓએ ખેડૂતોને કેમ સાંભળતા નથી અને પૂરું વળતર મળે તેના માટેનો કેમ પ્રયાસ કરતાં નથી તે પણ તપાસનો વિષય છે અને જો ખેડૂતોને પૂરું વળતર નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે.