Jamnagar તા.21
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે જામનગર જિલ્લામાં ૨૦મી ફેબ્રુઆરી ૨૦૨૫ થી ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધી બ્લડ પ્રેશર (બી.પી) અને ડાયાબીટીસ (સુગર)ના દર્દીઓની મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
એન.પી-એન.સી.ડી. પ્રોગ્રામ અંતર્ગત બિન ચેપી રોગોના સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનો લાભ જામનગર જિલ્લાના ૩૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો લઈ શકશે.
આ ઝુંબેશ હેઠળ નિઃશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબીટીસની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું તાત્કાલિક નિદાન અને દવા ઉપલબ્ધતા તેમજ ઘરે-ઘરે આરોગ્ય ટીમ દ્વારા તપાસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવશો?તમારા નજીકના આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે નોંધણી કરાવી શકો છો.આશા કાર્યકર , આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ ઘરે-ઘરે આવી નોંધણી કરશે.આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે.
૩૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકે વર્ષમાં બે વાર બી.પી અને ડાયાબીટીસની ચકાસણી કરાવવી જરૂરી છે. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.