મુંબઈ, તા.૩૧
‘ધ ફેમિલી મેન’ સિરીઝની સફળતા પાછળ રાજ એન્ડ ડિકેની સર્જનાત્મકતા હોવાનું માનવામાં આવે છે. તેમણે બે સીઝનમાં દર્શકોને જકડી રાખે એવી વાર્તા બનાવીને મનોરંજન કરાવ્યું છે. ગયા વર્ષે જ્યારે ‘ધ ફેમિલી મેન’ની ત્રીજી સીઝનની જાહેરાત કરવામાં આવી ત્યારે તેના ફૅન્સ ખુશ થઈ ગયા હતા. બીજી સીઝનમાં જેમ સમંથા રુથ પ્રભુ એક અનોખી સરપ્રાઇઝ તરીકે જોવા મળી એમ હવે ત્રીજી સીઝનમાં જયદીપ અહલાવતની એન્ટ્રી થઈ રહી છે.હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે જયદીપ અહલાવત આ ફિલ્મમાં મુખ્ય વિલન તરીકે જોવા મળશે અને મનોજ બાજપાઈ સાથે તેના કાંટાની ટક્કર હશે. આ જાહેરાત પછી જયદીપના ફૅન્સ પણ અનેક કલ્પનાઓ અને ધારણાઓમાં લાગી ગયાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જયદીપ અહલાવતનો રોલ આ સીઝનમાં ઘણો મહત્વનો છે. તેણે કહ્યું, “તેનું પાત્ર મનોજ બાજપાઈનાં પાત્ર શ્રીકાંતની વિરુદ્ધ ટક્કર આપશે, તેથી દર્શકો તે બંને વચ્ચે એક જોરદાર અભિનય અને ટક્કરની આશા રાખીને બેઠાં છે.” જો કે, શોના મેકર્સ દ્વારા આ અંગે કોઈ જ માહિતી જાહેર કરવામાં આવી નથી. થોડાં વખત પહેલાં મનોજ બાજપાઈએ પણ ત્રીજી સીઝન અંગે વાત કરી હતી. તેણે દિવાળી ૨૦૨૫ સુધીમાં આ સિરીઝ આવી જાય તેવી શક્યતા પણ વ્યક્ત કરી હતી. આ વખતની સીઝનમાં પ્રિયામણી, શારીબ હાશમી, આશ્લેષા ઠાકુર અને વેદાંત સિંહા તો ફરી જોવા મળશે જ. પહેલ સીઝનની સફળતા પછી બીજી સીઝન બવાવવામાં આવી હતી. ત્યારે બાદ બીજી સીઝનના અંતમાં તો ત્રીજી સીઝનની વાર્તાનો સંકેત પણ આપી દેવાયો હતો. ત્યારે હવે ત્રીજી સીઝનમાં જયદીપ અહલાવત જોડાવાની વાતથી આ વખતની સીઝન અગાઉની બે સીઝન કરતાં પણ વધુ રસપ્રદ હોય તેવી અપેક્ષાઓ છે. આ સીઝનમાં નોર્થ ઇસ્ટના ઉગ્રવાદની વાત છે, તેમાં ગુલ પનાગ પણ જોડાઈ છે. તાજેતરમાં જ આ સીઝનના શૂટની રેપ અપ પાર્ટીનું આયોજન પણ થયું હતું.
Manoj Bajpayee અને Jaideep Ahlawatની ‘The Family Man ૩’માં ટક્કર
