Palanpurતા.૨૯
બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે જાગીર મઠના મહંત કોણ તેને લઇ વિવાદ છેડાયો છે અને વિવાદ એટલો વકર્યો કે છેલ્લા કેટલાય દિવસથી મઠ પોલીસ છાવણીમાં ઘેરાયો છે. એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ સહીત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરૂ ગાદી સોપાઈ તો બીજી તરફ થળી મઠ નજીક આવેલા ગામોના લોકો દ્વારા શંકરપુરી મહારાજનો વિરોધ કરી કાર્તિકપુરી મહારાજને ચાદર ઓઢાડાતા વિવાદ વકર્યો છે. જો કે મહંતના વિવાદમાં સપડાયેલી આ થળી મઠ ખાતે કાયદો વ્યવસ્થા ન કથળે તેને લઇ હાલ તો આ મઠ પોલીસ છાવણીમાં ફેરવાયો છે.
બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં બનાસ નદી નજીક આવેલો થળી જાગીર મઠ એ વર્ષો જૂની ધાર્મિક જગ્યા છે. અને જે સ્થાનિક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. જો કે આ જાગીર મઠમાં અત્યાર સુધી ૧૩ જેટલાં મહંત ગુરૂગાદીએ બિરાજી ચુક્યા છે. જો કે તાજેતરમાં મહંત જગદીશપુરી કે જે છેલ્લા કેટલાય સમયથી આ મઠનો કારભાર સંભાળતા અને તાજેતરમાં ૧૯ નવેમ્બરએ હાર્ટએટેકના કારણે તેઓ દેવલોક પામ્યા જો કે મહંત દેવલોક પામ્યા બાદ તેમના દેહને મઠની જગ્યામાં જ સમાધિ અર્પણ કરાઈ અને તેં બાદ ગુરૂગાદી દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ અને થરા સ્ટેટના આગેવાનો દ્વારા થળી જાગીરમઠના મહંત તરીકે મહંત શંકરપુરીને ચાદર ઓઢાડીને ગુરૂગાદી સોપાઈ.
જો કે દેવદરબારના મહંત અને થરા સ્ટેટના આગેવાનો દ્વારા મહંત શંકરપુરીને ગાદી તો સોંપી દેવાઈ પરંતુ આ મઠના આસપાસના ગામોના સ્થાનિક લોકો દ્વારા દેવ દરબાર અને થરા સ્ટેટ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો વિરોધ કરાયો અને ૨૨ નવેમ્બર આસપાસના ગામોના હજારો લોકોએ થળી જાગીર મઠ ખાતે વિરોધ પ્રદર્શિત કર્યો અને તેં દરમ્યાન સ્થાનિકો દ્વારા મઠ બહાર જ મહંત કાર્તિકપુરીને થળી જાગીર મઠના મહંત તરીકે સ્થાપિત કરવા નિર્ણય કરાયો અને તેમને ચાદર ઓઢાડી દીધી.
જો કે અગાઉ દેવ દરબાર દ્વારા મહંત જગદીશપુરી દેવલોક પામ્યા અને તેમના દેહને સમાધિ આપે તેં પહેલા જ મહંત શંકરપુરીને ગાદી સોપાઈ ગઈ હતી. અને તે બાદ મહંત કાર્તિકપુરીને સ્થાનિકોએ સ્થાપિત કરવાની વાત કરી ચાદર ઓઢાડતા થળી જાગીર મઠ ખાતે કાયદો વ્યવસ્થા કથળે તેવી પરિસ્થિતિ ઉભી થતા બનાસકાંઠાએસપી સહીત પોલીસ કાફલો ખડકી દેવાયો અને બંને પક્ષઓને પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસ કરાયા પરંતુ એક પણ પક્ષ કોઈ વાતે ન સમજતા આખરે બનાસકાંઠા એસપી દ્વારા થળી જાગીર મઠ ખાતે એસઆરપીની ટુકડી ઉતારી જાગીર મઠને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો. જો કે મહંત શંકરપુરીના વિરોધ અને મહંત કાર્તિકપુરીના સમર્થનમાં ઉમટેલા લોકોએ આક્ષેપ કર્યા કે મહંત શંકરપુરીને ખોટી રીતે ગાદીએ બેસાડવામાં આવ્યા છે. તો કેટલાક લોકોએ તો મઠની તિજોરીના તાળા તૂટી ગયા હોવાના પણ આક્ષેપો કરી દીધા.