New Delhi,તા.28
નોકરિયાત વર્ગ માટે સારા સમાચાર છે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકાનો વ્યાજ દર યથાવત રાખ્યો છે. નોંધનીય છે કે, RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા પછી પણ EPFO દ્વારા વ્યાજ દર જૂના સ્તરે જાળવી રાખવામાં આવ્યો છે. રેપો રેટમાં ઘટાડા બાદ નિષ્ણાંતોને આશા હતી કે સરકાર પીએફ વ્યાજ દરમાં થોડો ઘટાડો કરી શકે છે. એવી પણ આશા હતી કે વ્યાજ દર 8 ટકાથી ઉપર જાળવી શકાય.
EPFOએ ફેબ્રુઆરી 2024માં EPF પર વ્યાજ દર 2022-23 માં 8.15 ટકાથી વધારીને 2023-24 માટે 8.25 ટકા કર્યો હતો. માર્ચ 2022માં EPFOએ 7 કરોડથી વધુ PF ધારકો માટે નાણાકીય વર્ષ 2021-22 માટે EPF પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો, જે ચાર દાયકાના સૌથી નીચા સ્તરે હતો. અગાઉ તે 2020-21માં 8.5 ટકા હતો. વર્ષ 2020-21 માટે EPF પર વ્યાજ દર 8.10 ટકા હતો. આ 1977-78 પછીનો સૌથી નીચો દર છે, જ્યારે EPF વ્યાજ દર 8 ટકા હતો.
અહેવાલો અનુસાર, EPFOના મહત્ત્વના નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ શુક્રવારે તેની બેઠકમાં 2024-25 માટે EPF પર 8.25 ટકા વ્યાજ આપવાનો નિર્ણય લીધો છે. નાણાકીય વર્ષ 2020-21 માટે EPF થાપણો પર 8.5 ટકા વ્યાજ દર CBT દ્વારા માર્ચ 2021માં નક્કી કરવામાં આવ્યો હતો. સીબીટીના નિર્ણય બાદ 2024-25 માટે EPF થાપણો પરના વ્યાજ દરને મંજૂરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવશે.
સરકારની મંજૂરી બાદ વર્ષ 2024-25 માટે EPF પર વ્યાજ દર 7 કરોડથી વધુ EPFO ધારકોના ખાતામાં જમા કરવામાં આવશે. EPFO નાણા મંત્રાલય દ્વારા સરકાર વતી નિર્ણય લીધા પછી વ્યાજ દર આપે છે. નોંધનીય છે કે, EPFO દ્વારા 1992-93 દરમિયાન સૌથી વધુ વ્યાજ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન EPFO દ્વારા વાર્ષિક 12 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવતું હતું. જોકે, આ પછી તે ધીમે ધીમે 2002-03 માં ઘટીને 9.50 ટકા થઈ ગયું.