મેં સેના કમાન્ડરોને કહ્યું કે ભારત અને વિશ્વમાં શાંતિ જાળવી રાખવા આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ
New Delhi,તા.૬
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે શુક્રવારે એક મોટું નિવેદન આપ્યું છે. જેમાં રાજનાથ સિંહે કહ્યું છે કે, “ભારતે હંમેશા શાંતિની હિમાયત કરી છે ભારત હંમેશાથી શાંતિનો ઉપાસક રહ્યો છે, હતો અને રહેશે.વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેણે ‘વસુધૈવ કુટુંબકમ’નો સંદેશ આપ્યો છે. વર્તમાન વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને જોતા મેં સેના કમાન્ડરોને કહ્યું કે ભારત અને વિશ્વમાં શાંતિ જાળવી રાખવા માટે આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ, જેથી કરીને કોઈ પણ સંજોગોમાં આપણી શાંતિને ખલેલ પહોંચાડવામાં ન આવે.”
આ પહેલા ગુરુવારે લખનઉમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે રાજનાથ સિંહે રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કમાન્ડરોને આ ઘટનાઓનું વિશ્લેષણ કરવા, ભવિષ્યમાં દેશને જે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેનું અનુમાન લગાવવા અને “અનપેક્ષિત” સાથે પગલાં લેવા માટે તૈયાર રહેવાનું આહ્વાન કર્યું હતું. રક્ષા મંત્રીએ ઉત્તરીય સરહદ પરની સ્થિતિ અને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે પડકાર ઊભો કરી રહેલા પાડોશી દેશોમાં વિકાસને ધ્યાનમાં રાખીને ટોચના સૈન્ય નેતૃત્વ દ્વારા વ્યાપક અને ઊંડાણપૂર્વક વિશ્લેષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
રાજનાથ સિંહે કહ્યું કે, “વૈશ્વિક અસ્થિરતા હોવા છતાં, ભારત પ્રમાણમાં શાંતિના વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે વિકાસ કરી રહ્યું છે. જો કે, પડકારોની વધતી સંખ્યાને કારણે, આપણે સતર્ક રહેવાની જરૂર છે. તે મહત્ત્વનું છે કે આપણે અમૃતકાળ દરમિયાન આપણી શાંતિ જાળવી રાખીએ. આપણે આપણા વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, વર્તમાનમાં આપણી આસપાસ શું થઈ રહ્યું છે તેના પર નજર રાખવાની અને ભવિષ્યલક્ષી બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ માટે આપણી પાસે એક મજબૂત અને સુદઢ રાષ્ટ્રીય સુરક્ષા ઘટક હોવું જોઈએ. આપણી પાસે અચૂક પ્રતિરોધક ક્ષમતા હોવી જોઈએ.”
રક્ષામંત્રી રાજનાથ સિંહે અવકાશ અને ઈલેક્ટ્રોનિક યુદ્ધના ક્ષેત્રમાં ક્ષમતાઓના વિકાસ પર ભાર મૂક્યો અને આધુનિક સમયના પડકારોને પહોંચી વળવા માટેનું અભિન્ન અંગ ગણાવ્યું.
તેમણે સૈન્ય નેતૃત્વને ડેટા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં નવીનતમ તકનીકી પ્રગતિના ઉપયોગને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ વિનંતી કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “આ ઘટકો કોઈ પણ સંઘર્ષ અથવા યુદ્ધમાં પ્રત્યક્ષ રીતે ભાગ લેતા નથી. તેમની આડકતરી ભાગીદારી મોટા પ્રમાણમાં યુદ્ધનો માર્ગ નક્કી કરે છે.”