Ahmedabad,તા.10
કેન્દ્ર-રાજ્ય સરકાર છેલ્લાં કેટલાંય વખતથી એક ગાણું ગાય છે કે, ખેડૂતોની આવક બમણી થશે. હકીકતમા ખેડૂતોની આવક તો ડબલ તો ન થઇ પણ દેવુ જરૂર થયુ છે. ખુદ કેન્દ્ર સરકારે જ આ વાતનો ખુલાસો કર્યો છે કે, છેલ્લાં ત્રણેક વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ સહકારી, રીજીયનલ અને કોમર્શિયલ બેંકોમાંથી કુલ મળીને 2,30,764 કરોડ રૂપિયાની લોન લીધી છે. આમ, ગુજરાતના ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાયા છે.
વરસાદી પાણીમાં ઊભા મોલને નુકશાન પહોંચ્યું
આ વર્ષે ભારે વરસાદથી ખેડૂતોને આર્થિક નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો. અતિવૃષ્ટિને લીધે દરિયાકાંઠાના વિસ્તારોથી માંડીને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સુધી ખેતી તહસ નહસ થઈ ગઈ હતી. વરસાદી પાણીમાં ઊભા મોલને નુકશાન પહોંચ્યું હતું. ખેડૂતોને જાણે મોઢામાંથી કોળિયો છીનવાયો હતો. આખરે રાજ્ય સરકારે કૃષિ પેકેજ જાહેર કરીને મદદરુપ થવુ પડ્યુ હતું.
ખેડૂતો માટે ખેતી કરવી મોઘી થઈ
આજે ગુજરાતમાં ખેતી કરવી મોઘી થયુ છે. જંતુનાશક દવા,ખાતર, બિયારણ તો મોધું થયુ છે પણ સાથે સાથે ખેતમજૂરી પણ મોંઘી થઈ છે. પૈસા આપવા છતાંય ખેત મજૂરો મળતા નથી તેવી સ્થિતી પરિણમી છે. આ પરિસ્થિતી વચ્ચે ખેડૂતો અથાગ મહેનત કરી પાક પકવે તો પોષણક્ષમ ભાવો મળતા નથી. આ સંજોગોમાં જગતનો તાત આર્થિક રીતે બેહાલ બન્યો છે. કેન્દ્ર સરકારના એક રિપોર્ટ મુજબ, ગુજરાતના ખેડૂતોએ બેંકોમાંથી વર્ષ 2021-22માં 1,03,118 કરોડ રૂપિયાની લોન લીધી હતી. વર્ષ 2022-23માં 1,20,530 કરોડ રૂપિયાની લોન લીધી હતી. એક વર્ષમાં લોનની કુલ રકમમાં 17,412 કરોડનો વધારો થયો હતો. જ્યારે વર્ષ 2023-24માં1,41,160 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ વર્ષમાં પણ લોનની રકમમાં 20,630 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
ટૂંકમાં ખેડૂતોના દેવામાં દર વર્ષે સરેરાશ 15 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. મહત્ત્વની વાત તો એછેકે, ગુજરાતી ખેડૂતોએ સહકારી અને રિજીયનલ બેંકો કરતાં કોર્મિશયલ બેકોમાંથી વધુ લોન મેળવી છે. કૃષિ વિભાગે ખેડૂતોને ઉપયોગી અનેક યોજના અમલમાં મૂકી છે. ખેડૂતોને અઢળક ફાયદાઓ થઈ રહ્યો છે તેવા દાવા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સમૃદ્ધ ગુજરાતના ખેડૂતો દેવાદાર બની રહ્યાં છે તે કેન્દ્રના રિપોર્ટ પરથી સાબિત થયુ છે.