Goa આવતા વિદેશી પર્યટકોની સંખ્યામાં અચાનક કેમ તોતિંગ ઘટાડો

Share:

એક સમયે ખીચોખીચ જોવા મળતા બીચો પર શાંતિ છવાઈ ગઈ છે : સ્થાનિક વેપારીઓ ચિંતામાં પડી ગયા

Goa, તા.૯

દેશમાં પર્યટકોનું મનપસંદ એવા ગોવામાં અચાનક વિદેશી પ્રવાસીઓ ઘટી કેવી રીતે ગયા? રાજ્યમાં વિદેશી પર્યટકોના આગમનમાં ૬૦ ટકા જેટલો ભારે ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે ખીચોખીચ જોવા મળતા બીચો પર શાંતિ છવાઈ ગઈ છે. આ સાથે જ સ્થાનિક વેપારીઓ પોતાના વ્યવસાયના ભવિષ્યને લઈને પણ ચિંતામાં પડી ગયા છે.

રમણીય બીચોથી લઈને યુનિક સાંસ્કૃતિક મિશ્રણ સુધી ગોવા દાયકાઓથી ભારત આવતા વિદેશી પ્રવાસીઓ માટે રજાઓમાં ફરવા માટે મનગમતા સ્થળોની યાદીમાં સામેલ રહ્યું છે.  ગોવાએ દર વર્ષે દુનિયાભરના પર્યટકોને આકર્ષિત કર્યા છે. પરંતુ હાલના દિવસોમાં આ રાજ્યમાં પર્યટન ઉદ્યોગ ખતરાની ઝપેટમાં જોવા મળી રહ્યો છે. કારણ કે પર્યટક ક્ષેત્ર રાજ્યની અર્થવ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ચૂક્યો છે.

સ્થાનિક દૈનિક ઓહેરાલ્ડોના જણાવ્યાં મુજબ વર્ષ ૨૦૧૯માં ગોવાએ લગભગ ૯.૪ લાખ વિદેશી પર્યટકોને આવકાર્યા હતા પરંતુ વર્ષ ૨૦૨૩ના નવેમ્બર સુધીમાં આ આંકડો અડધા કરતા પણ વધુ ઘટીને ફક્ત ૪.૦૩ લાખ રહી ગયો. જ્યારે ગોવામાં પર્યટનનો ઘણો ખરો હિસ્સો વિદેશી પર્યટકો પર નિર્ભર છે.

ગોવાના એક સ્થાનિક વેપારી રામાનુજ મુખર્જીએ વિદેશી પર્યટકોની સંખ્યામાં મોટા ઘટાડાને દર્શાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે વિદેશી પર્યટકોએ પહેલેથી જ રાજ્યને છોડી દીધુ છે. રશિયન અને બ્રિટિશ જે વાર્ષિક આવતા હતા તેમણે હવે તેમની જગ્યાએ શ્રીલંકાને પસંદ કર્યું છે. તેમની પોસ્ટને ૨ મિલિયનથી વધુ વાર જોવામાં આવી છે. ત્યારે સમજવું પડે કે આખરે કેમ વિદેશી પર્યટકો ગોવાથી દૂર જઈ રહ્યા છે.તેનું મોટું કારણ શું છે.  ગોવાના પર્યટન ઉદ્યોગને સ્થાનિકલોકો ટેક્સી માફિયા કહેવાતા સમૂહથી અપ્રત્યાશિત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ એક શક્તિશાળી સમૂહ છે જે પર્યટકો અને રહીશો બંનેની કિંમત પર રાજ્યની ટેક્સી સેવાઓ પર હાવી રહે છે. આ ટેક્સી ઓપરેટરોએ પોતાના વધતા ભાડા, મીટરવાળી સેવાઓની કમી અને સરકારી નિયમોની અવગણના માટે ખુબ બદનામી મેળવી છે.

ગોવા આવતા અનેક પર્યટકો ખાસ કરીને વિદેશીઓએ તેમના કારણે અનેકવાર ખરાબ સ્તરની લડાઈનો સામનો કરવો પડે છે. તેનાથી તેમને લાગે છે કે તેમના વધુ પૈસા જઈ રહ્યા છે અને તેમનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. એક્સા એક યૂઝરે ટુરિસ્ટ વચ્ચે વધતી નિરાશાને જણાવતા કહ્યુ ંકે ગોવા સ્થાનિક ટેક્સી માફિયા અને પ્રશાસનના ગઠબંધનના કારણે બરબાદ થઈ ગયું છે.

ગોવા આવતા અનેક પર્યટકોએ ભાડા પર વાતચીત કરતી વખતે સમય કે યોગ્ય કિંમત માટે નેગોશિએટ કરતી વખતે પણ ટેક્સી ચાલકો તરફથી ધમકી અને લડાઈનો સામનો કર્યો છે. ટેક્સી ચાલકો ક્યારેક પોતાની ખુબ ઊંચી માંગણીને પૂરી ન કરતા સેવા આપવાની જ ના પાડી દે છે. એક્સ પર એક  યૂઝરે આપવિતીમાં લખ્યું છે કે કેવી રીતે એક પોપ્યુલર બીચ પરથી પોતાના જર્મન મિત્રને લઈ જવા માટે ૧૦થી વધુ ટેક્સી ડ્રાઈવર્સસાથે દુશ્મની ઝેલવી પડી.

તેમણે લખ્યું કે બેનાઉલિમમાં તેમના જર્મન સાથીને ૩૭ કિલોમીટરની સેવારી માટે ૧૮૦૦ રૂપિયાની ચૂકવણી કરવી પડી. દલીલ કરતા ૧૦થી વધુ ટેક્સી ચાલકો તેમને મારવા માટે આવી ગયા. જ્યારે તેમનો એક લોકલ મિત્ર તેમની સાથે પણ હતો.

ફિટનેસ ઈન્ફ્લુએન્સર ચિરાગ બડજાત્યાએ પણ આવી જ કોઈ ઘટનાનો ઉલ્લેખ કર્યો.તેમણે લખ્યું કે એકવાર ગોવામાં અમે અમારી કારમાં એક વિદેશી પર્યટકને લિફ્ટ આપી. થોડા ટેક્સીવાળાઓએ અમને  રોક્યા અને કહ્યું કે તેમની નીચે  ઉતારી દો. નહીં તો તેઓ કાર  તોડી નાખશે. કેટલાક ટેક્સીવાળાએ અમને રોક્યા અને કહ્યું કે તેમને નીચે ઉતારી દો નહીં તો કાર તોડ઼ી નાખશે. ટેક્સી માફિયાઓના વ્યવહારના કારણે ગોવાનો પર્યટન ઉદ્યોગ ઘણી હદ સુધી બરબાદ થઈ ગયો છે.

ભારતના મોટાભાગના પ્રમુખ પ્રવાસન સ્થળોમાં સંચાલિત રહેતી ઓલા અને ઉબર જેવી ઓલાઈન રાઈડ-હેલિંગ સેવાઓની ગેરહાજરીથી પણ આ સ્થિતિ વધુ ખરાબ બની છે. જ્યારે ઓલાએ ૨૦૧૪માં ગોવામાં લોન્ચ કરવાનો પ્રયત્ન કર્યો હતો તો ટેક્સી યુનિયનોએ હડતાળ કરી નાખી. જેણે સરકાર પર એપને બ્લોક કરવાનું દબાણ સર્જ્‌યું. મર્યાદિત પરિવહન વિકલ્પોના પગલે ગોવામાં પર્યટકો પાસે મોટાભાગે ઊંચા દરો સ્વીકારવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. જેના કારણે નેગેટિવ રિવ્યૂ, નિરાશા અને અસંતોષ વધે છે.

ઓ હેરાલ્ડોના રિપોર્ટ મુજબ રશિયા-યુક્રેન સંઘર્ષ અને ઈઝરાયેલ તથા પેલેસ્ટાઈન વચ્ચે અશાંતિના કારણે પણ આ વિસ્તારોથી ગોવામાં આવતા પર્યટકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ધ ગોઅન એવરીડેએ રિપોર્ટ  કર્યો કે તે પહેલા ગોવામાં રશિયાથી રોજ લગભગ પાંચ ચાર્ટર્ડ ફ્લાઈટ આવતી હતી પરંતુ હવે સપ્તાહમાં ગણતરીની ફ્લાઈટ આવે છે. એ જ રીતે ઈઝરાયેલી પર્યટકો જે અવારનવાર ગોવા આવતા હતા તેઓ પણ હવે પશ્ચિમ એશિયામાં રાજકીય અસ્થિરતાના કારણે અંતર જાળવી રહ્યા છે. જેના કારણે ઈઝરાયેલથી ચાર્ટર્ડ ફ્લાઈટ્‌સ સસ્પેન્ડ છે.

આ પડકારો ઉપરાંત યુકે નાગરિકો માટે ઈ વિઝા પ્રક્રિયામાં ભારત સરકાર તરફથી થનારા વિલંબે પણ સ્થિતિને વધુ જટિલ બનાવી છે. તેનાથી યુરોપીયન પર્યટકોની સંખ્યા ઘટી ગઈ છે અને ગોવામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો ફ્લો સતત પ્રભાવિત  થયો છે. જો કે ભારતીય પર્યટકો ગોવા આવવાનું ચાલુ રાખે છે. પરંતુ અન્ય દક્ષિણએશિયન મંજિલોની સરખામણીમાં રાજ્યની ઉચ્ચ કિંમતો અને ઘટતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે અનેક લોકો પુર્નવિચાર કરી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *