Delhi,તા,12
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત દારૂ કૌભાંડને લઈને જામીન માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કેજરીવાલે તેમની CBI ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમના વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વહેલી સુનાવણીની માંગ કરી છે. જેમાં ચીફ જસ્ટિસે તેમને ઔપચારિક ઈમેલ મોકલવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે ઈડી કેસમાં અરવિંદ કેજરીવાલને પહેલા જ વચગાળાના જામીન આપી દીધા છે. પરંતુ સીબીઆઈ કેસમાં તેમને હજુ સુધી જામીન મળ્યા નથી. દિલ્હી હાઇકોર્ટે ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી અને જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવા કહ્યું હતું.
પીએમએલએ કેસમાં જામીન મળ્યા હતા
અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન આપ્યા હતા. જો કે, દિલ્હી હાઇકોર્ટે 25 જૂને આ આદેશ પર રોક લગાવી દીધી હતી. આ પછી અરવિંદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાંથી તેમને 12 જુલાઈના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. આ દરમિયાન સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે.
સિસોદિયાને જામીન મળતાં કેજરીવાલે કરી અરજી
દિલ્હીના મુખ્યમંત્રીએ આ અરજી એવા સમયે દાખલ કરી છે જ્યારે બે દિવસ પહેલા તેમના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આ જ કોર્ટમાંથી સીબીઆઈ અને ઈડી કેસમાં જામીન મળ્યા છે. સિસોદિયાને જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે 17 મહિનાથી જેલમાં કેદ છે. ટૂંક સમયમાં ટ્રાયલ શરુ થવાની કોઈ શક્યતા નથી. કોર્ટે તેને સ્પીડ ટ્રાયલના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. કેજરીવાલ પણ 21 માર્ચથી જેલમાં છે. 12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે ઈડી કેસમાં કેજરીવાલને 90 દિવસ જેલમાં હોવાનું કહીને વચગાળાના જામીન આપ્યા હતા.
મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ હતી
EDએ 21 માર્ચે દિલ્હી લિકર પૉલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારબાદ 26 જૂનના રોજ સીબીઆઈ દ્વારા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. CBI અને EDએ દાવો કર્યો છે કે નાણાંકીય વર્ષ 2021-22 માટે લિકર પૉલિસીમાં ગોટાળા થયા છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ અનુસાર, દારૂના વેપારીઓને લાભ આપવા માટે તેમની પાસેથી લાંચ લેવામાં આવી હતી. દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટી આ દાવાઓને વારંવાર ફગાવી રહી છે.