jaipur,તા.03
રાજસ્થાનમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં બારાં જિલ્લામાં એક એસયુવી કાર પલટી ખાઈ જવાને કારણે 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાંના અહેવાલ સામે આવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 6 અન્ય લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.
હાઈવે પર ઢોર સાથે ટકરાઈ હતી કાર…
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યાનુસાર ભંવરગઢ પોલીસ સ્ટેશનની હદમાં આવતા આ વિસ્તારમાં નેશનલ હાઈવે 27 પર અકસ્માત સર્જાયો હતો. એડિશનલ પોલીસ સુપ્રીન્ટેડન્ટ રાજેશ ચૌધરીએ કહ્યું કે પૂરપાટ ઝડપે દોડતી કારની ટક્કર રોડ પર રખડતાં પશુ સાથે થઇ હતી. જેના લીધે કાર પલટી ગઇ. જેમાં ચાર લોકો ભોગ લેવાઈ ગયો હતો. આ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અન્ય 6 ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોની ઓળખ જાહેર કરાઈ
પોલીસે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ ફુલચંદ (50), હરિચરણ (40), લખન (28) અને રાજુ સહરિયા (50) તરીકે કરી હતી. જ્યારે ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાથી મૃતકાંક વધે તો નવાઈ નહીં.