New Delhi, તા.30
સુપ્રીમ કોર્ટમાંથી ચૂંટણી પંચને મોટી રાહત મળી છે. જેમાં સુપ્રીમ કોર્ટે EVM મશીનો સાથે VVPAT સ્લિપના 100 ટકા મેચિંગની માંગ કરતી સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે ‘અરજીમાં આપવામાં આવેલા આધારને ધ્યાનમાં લીધા બાદ અમે માનીએ છીએ કે 26 એપ્રિલના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો કોઈ મામલો બનતો નથી.’
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, 26 એપ્રિલે, સુપ્રીમ કોર્ટે VVPAT અને EVM મશીનની સ્લિપના 100 ટકા મેચિંગની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આ અરજીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી, જેને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. અરુણ કુમાર અગ્રવાલ દ્વારા રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમણે અગાઉ પણ આ મુદ્દે પીઆઈએલ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે અરુણ કુમાર અગ્રવાલે તેમની સમીક્ષા અરજીમાં દલીલ કરી હતી કે 26 એપ્રિલના નિર્ણયમાં ભૂલો હતી. આ ઉપરાંત કહેવામાં આવ્યું હતું કે કાઉન્ટિંગ હોલની હાલની CCTV દેખરેખ એ સુનિશ્ચિત કરશે કે VVPAT સ્લિપની ગણતરીમાં કોઈ અનિયમિતતા નથી.
સુપ્રીમ કોર્ટ જારી કરાયેલ બીજો નિર્દેશ એ છે કે ઉમેદવારો પાસે પરિણામ જાહેર થયા પછી એન્જિનિયર્સની ટીમ દ્વારા ઇવીએમના માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામ તપાસવા માટેનો વિકલ્પ મળશે, જેના માટે પરિણામો જાહેર થયાના સાત દિવસની અંદર અરજી કરવાની રહેશે. ચુકાદો આપતી વખતે જસ્ટિસ દીપાંકર દત્તાએ જણાવ્યું હતું કે, “જ્યારે સંતુલિત પરિપ્રેક્ષ્ય મહત્વપૂર્ણ છે, પરંતુ સિસ્ટમ પર અર્થવિહિન શંકા કરવી તે યોગ્ય નથી.” કોર્ટે જણાવ્યું હતું કે, પોલિંગ મશીનોના લાભો પર શંકાનું બીજ વાવી ફરી પાછા બેલેટ પેપરની ભલામણ કરવાનો વિચાર કરી શકાય નહીં. ચૂંટણી પંચે કોર્ટના પ્રશ્નોના જવાબ આપતાં રિપોર્ટ પણ રજૂ કર્યા હતા. જેમાં ચૂંટણી પેનલના અધિકારીઓની પેનલ પાસેથી ઈવીએમના ફંક્શન, સંચાલન અને માઈક્રોકંટ્રોલર તથા રિપ્રોગ્રામેબલ સહિતના ફીચર્સ અને સંચાલન સંબંધિત પાંચ પ્રશ્નોના જવાબ આપવા અપીલ કરી હતી.