દ્વારકામાં ભગવાન કૃષ્ણના ૫૨૫૧મા જન્મોત્સવની તડમાર તૈયારીઓ : સવારે ૬ વાગ્યે મંગળા આરતી
Dwarka, તા.૨૫
દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ૨૬ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના અતિપ્રસિદ્ધ એવા કૃષ્ણ મંદિરો દ્વારકા, શામળાજી અને ડાકોરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લાખોની સંખ્યામાં આવતીકાલે ભક્તો અહીં વ્હાલાના દર્શન માટે આવી પહોંચશે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો ૫૨૫૧ મો જન્મોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે જન્માષ્ટમી પર્વને લઈ ભગવાન દ્વારકાધીશના નિત્યક્રમમાં ફેરફાર કરાયો છે. જેની ભાવિક ભક્તોએ ખાસ નોંધ લેવી.
જન્માષ્ટમી પર્વમાં જગતમંદિર ખાતે લાખો લોકો દર્શને આવતા હોય છે. જેથી દ્વારકાધીશ મંદિરનું જન્માષ્ટમીનું શિડ્યુઅલ જાહેર કરાયું છે. આ મુજબ રહેશે સમગ્ર કાર્યક્રમ…
સવારે ૬ વાગ્યા થી ૮ વાગ્યા સુધી મંગળા દર્શન રહેશે
૮ વાગ્યા થી ૯ વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન
ભગવાન દ્વારકાધીશને ૭ પ્રકાર ના અલગ અલગ ભોગ ધરવામાં આવશે
રાત્રે ૧૨ વાગ્યાના સમયે ભગવાન દ્વારકાધીશજીના જન્મોત્સવની આરતી થશે
રાત્રિના ૧૨ વાગ્યા થી ૩ વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવ દર્શન ભક્તોને થશે
નોમના દિવસે ભગવાનના પારણાં ઉત્સવ ઊજવવામાં આવશે
તા.૨૬-૮-૨૦૨૪ ના શ્રીજીના દર્શનના સમયનો સવારનો ક્રમ શ્રીજીની મંગલા આરતી દર્શન ૬ કલાકે, મંગલા દર્શન ૬ થી ૦૮ કલાકે, શ્રીજીની ખુલ્લે પડદે સ્નાન દર્શન અભિષેકના દર્શન ૮ કલાકે, શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ) ૧૦ કલાકે, શ્રીજીને શ્રૃંગાર ભોગ (દર્શન બંધ) ૧૦ઃ૩૦ કલાકે, શ્રીજીની શ્રૃંગાર આરતી ૧૧ઃ૦૦ કલાકે, શ્રીજીનો ગ્વાલ ભોગ (દર્શન બંધ) ૧૧ઃ૧૫ કલાકે, શ્રીજીને રાજભોગ (દર્શન બંધ) ૧૨ કલાકે અનોસર (બંધ) ૧ થી ૫ કલાક સુધી બપોરે રહેશે.
શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમ ઉત્થાપન દર્શન ૫ કલાકે, શ્રીજીને ઉત્થાપન ભોગ (દર્શન બંધ) ૦૫ઃ૩૦ કલાકે ૫ઃ૪૫ કલાકે, શ્રીજીને સંધ્યા ભોગ (દર્શન બંધ) ૭ઃ૧૫ કલાકેથી ૭ઃ૩૦ કલાકે, શ્રીજીની સંધ્યા આરતી દર્શન ૭ઃ૩૦ કલાકે, શ્રીજીને શયન ભોગ (દર્શન બંધ) ૮ કલાકે થી ૮ઃ૧૦ કલાકે, શ્રીજીની શયન આરતી દર્શન ૦૮ઃ૩૦ કલાકે, શ્રીજી શયન અનસર (દર્શન બંધ) ૦૯ઃ૦૦ રહેશે.
શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે માટે શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન ૧૨ કલાકે, શ્રીજી શયન (દર્શન બંધ) ૦૨ઃ૩૦ કલાકે રહેશે. જ્યારે તા.૨૭-૮-૨૦૨૪ ના રોજ પારણા ઉત્સવના દર્શન આ મુજબ રહેશે. શ્રીજીના દર્શન સવારે પારણા ઉત્સવ દર્શન ૦૭ કલાકે, અનોસર (દર્શન બંધ) ૧૦ઃ૩૦ કલાકે, સવારના ૧૦ઃ૩૦ કલાકથી સાંજના ૦૫ વાગ્યા સુધી (દર્શન) મંદિર બંધ રહેશે.
શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમનો સમય ઉત્થાપન દર્શન ૦૫ કલાકે, નિત્યક્રમ મુજબ દર્શન ૦૫ થી ૦૬ કલાકનો, શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા ૦૬ થી ૦૭ કલાકે (પટ/દર્શન બંધ રહેશે.), શ્રીજીના દર્શન ૦૭ થી ૦૭ઃ૩૦ કલાકે, શ્રીજીની સંખ્યા આરતી દર્શન ૦૭ઃ૩૦ કલાકે, શ્રીજીને શયન ભોગ ૦૮ઃ૩૦ કલાકે, શ્રીજી શયન (દર્શન બંધ) ૦૯ઃ૩૦ કલાકે તેમ દ્વારકાના શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર અને પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જગતમંદિર દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવશે. ત્યારે બેટ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જન્માષ્ટમીને લઈ કોઈ અનિચ્છનિય ઘટના ન બને એ માટે પોલીસ વિભાગ ખડેપગે રહેશે.
આ વિશે માહિતી આપતા દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડે જણાવ્યું કે, જગત મંદિર ખાતે ૧ એસ.પી ૮ ડી.વાય.એસ.પી ૩૧ પી.આઇ ૬૬ પી.એસ.આઇ ૧૭૦૦ થી વધુ પોલિસ જવાનો તૈનાત રહેશે. કુલ મળીને ૧૭૦૦ થી વધુ પોલીસ બંદોબસ્ત સાથે જન્મોત્સવ ઉજવવામાં આવશે.