બળવો કરી BJPમાં જોડાયેલા ચંપાઈનો શોધી કાઢ્યો તોડ! હેમંત સોરેને કોને મંત્રી બનાવ્યાં

Share:

Jharkhand,તા.30 

ઝારખંડના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ઝારખંડ મુક્તિ મોરચાને અલવિદા કહી દીધું છે. તેઓ આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હેમંત સોરેનની પાર્ટી જેએમએમ સામે સમસ્યાઓનો પહાડ ઉભો થયો છે. એક તરફ દિગ્ગજ નેતાના જવાથી ઊંડો આઘાત લાગ્યો છે, તો બીજી તરફ કોલ્હાન જેવા મોટા આદિવાસી બેલ્ટમાં ઓલ ઇઝ વેલ એવો સંદેશો પહોંચાડવાનો પડકાર છે.

હાલમાં ઘાટશિલાથી ધારાસભ્ય રામદાસ સોરેનને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી લીધી છે.રામદાસ સોરેને આજે સવારે 11 વાગ્યે રાજભવન ખાતે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. રામદાસ પ્રથમ વખત કેબિનેટમાં સામેલ થયા છે. તેમણે હેમંત કેબિનેટમાં ચંપાઈ સોરેનની જગ્યા લીધી છે. તેઓ કેબિનેટમાં 12મા મંત્રી બન્યા છે. રામદાસ સોરેન ઘાટશિલા વિધાનસભા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. પાર્ટીએ પહેલા જ તેમને જમશેદપુરના જિલ્લા અધ્યક્ષની જવાબદારી સોંપી છે.

ચંપાઈના રાજીનામા બાદ કેબિનેટ મંત્રીનું પદ ખાલી થઈ ગયું. ગુરુવારે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ફોન આવ્યા બાદ રામદાસ સોરેન રાંચી પહોંચ્યા અને પાર્ટીના નેતાઓને મળ્યા. રામદાસ ચંપાઈ સોરેનની નજીક ગણાય છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી હેમંતે રામદાસને મંત્રી બનાવીને બળવાને રોકવા માટે મોટું પગલું લીધુ છે એટલું જ નહીં, સંથાલ આદિવાસી સમુદાયને પણ શાંત કરવાનો પ્રયાસ કર્યો છે.

હેમંતે સંથાલ સમુદાયની મદદ માટે પગલાં લીધાં

નિષ્ણાતોનું કહેવું છે કે, હેમંત સોરેનનું સમગ્ર ધ્યાન કોલ્હન વિસ્તારમાં સંગઠનનું વર્ચસ્વ જાળવી રાખવા પર છે. હેમંતને ખબર છે કે, કોલ્હનમાં ચંપાઈનો પ્રભાવ છે અને તે સંથાલ સમુદાયમાંથી આવે છે. તેઓ 44 વર્ષની કારકિર્દીમાં પાર્ટી કાર્યકરમાંથી સીએમ પદ સુધી પહોંચ્યા.

આ જ કારણ છે કે, હેમંતે અત્યાર સુધી ચંપાઈના વિદ્રોહ પર કોઈ ટિપ્પણી કરી નથી અને મૌન જાળવ્યું છે. ચંપાઇ જૂના અને અનુભવી નેતા છે. આવી સ્થિતિમાં હેમંત ચંપાઈની આગળની રણનીતિ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, ચંપાઈમાં બળવાથી કોલ્હનમાં જેએમએમને નુકસાન થઈ શકે છે અને ભાજપને ફાયદો થઈ શકે છે. તેથી હેમંતે સંથાલ સમાજમાંથી આવતા રામદાસ સોરેનને મંત્રી બનાવવાનો દાવ રમ્યો છે.

JMM ડેમેજ કંટ્રોલ માટે ફુલ પ્રૂફ તૈયારીઓ કરી

નિષ્ણાતો એમ પણ કહે છે કે, JMM ડેમેજ કંટ્રોલ માટે ફુલ પ્રૂફ તૈયારીઓ પણ કરી લીધી છે. રામદાસ સોરેનને કેબિનેટ મંત્રી બનાવીને તેમણે માત્ર પૂર્વ સિંહભૂમ જિલ્લાને મહત્વ આપ્યું નથી, પરંતુ કોલ્હાન વિસ્તારને વિકસાવવાની યોજના પર કામ પણ શરૂ કર્યું છે. આને ચંપાઇના તોડ તરીકે જોવામાં આવી રહ્યું છે. કેબિનેટ વિસ્તરણ બાદ રામદાસને તે તમામ વિભાગો આપવામાં આવશે જે અત્યાર સુધી ચંપાઇ પાસે હતા. પાર્ટી રામદાસને કોલ્હનમાં પોતાની વોટબેંક મજબૂત કરવાની જવાબદારી સોંપશે. જો કે આ યોજનાથી જેએમએમને કેટલો ફાયદો કે નુકસાન થશે તે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

રામદાસ સોરેન ઘાટશિલાના ધારાસભ્ય છે. આ વિધાનસભા પૂર્વ સિંહભૂમ (West Singhbhum) જિલ્લામાં આવે છે. કોલ્હાન વિભાગ ત્રણ જિલ્લાઓનો સમાવેશ કરે છે. પૂર્વ સિંહભૂમ, સરાયકેલા ખરસાવાન અને પશ્ચિમ સિંહભૂમ. આ ત્રણ જિલ્લામાં 14 વિધાનસભા બેઠકો છે અને ચંપાઈ સોરેનનો ઘણો પ્રભાવ છે.

હાલમાં, જેએમએમ પાસે આ વિસ્તારમાં કોઈ મોટો નેતા નથી જે ચંપાઈનો વિકલ્પ બની શકે. ઝારખંડ મુક્તિ મોરચાને હંમેશા ચંપાઈની સંગઠનાત્મક ક્ષમતાનો લાભ મળ્યો છે. 2020ની ચૂંટણીમાં જેએમએમએ કોલ્હાન ક્ષેત્રમાં 14માંથી 11 બેઠકો જીતી હતી.બે સીટો અલાયંસમાં કોંગ્રેસને મળી હતી. એક સીટ સરયુ રાય પાસે હતી. ભાજપના હાથ ખાલી હતા. તત્કાલીન મુખ્યમંત્રી રઘુબર દાસને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

આ જ કારણ છે કે, ભાજપ કોલ્હાન વિસ્તારમાં મજબૂત આદિવાસી નેતાની શોધમાં છે. હવે ચંપાઈના માધ્યમથી ભાજપ માત્ર 14 સીટો પર પોતાની પકડ મજબૂત કરી શકશે નહીં પરંતુ જીતનો દોર પણ શરૂ કરી શકશે.

ચંપાઈ આ પહેલાં NDA સરકારનો હિસ્સો રહી ચૂકી છે. તેઓ સપ્ટેમ્બર 2010 થી જાન્યુઆરી 2013 સુધી એનડીએ સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યાં હતા. તેઓ 2019માં પરિવહન અને પછાત કલ્યાણ મંત્રી પણ રહી ચૂક્યા છે. ગુરુવારે રાજભવને મંત્રી પદ પરથી ચંપાઈ સોરેનનું રાજીનામું સ્વીકારી લીધું હતું.

કોણ છે રામદાસ સોરેન?

રામદાસ સોરેન સંથાલ સમુદાયમાંથી આવે છે. તેઓ પૂર્વ સિંઘભૂમમાં જેએમએમના જિલ્લા અધ્યક્ષ પણ છે. તેઓ અલગ રાજ્યના આંદોલનનો હિસ્સો પણ રહ્યા છે અને ઘણી વખત જેલ પણ ગયા છે.

2005માં પ્રથમ વખત અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા

રામદાસ સોરેન 2005માં પ્રથમ વખત અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ કુમાર બાલમુચુ સામે ચૂંટણી હારી ગયા હતા. 2009 માં, તેમણે જેએમએમની ટિકિટ પર ઘાટશિલા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી અને 1,192 મતોથી જીત્યા. તેમણે આ ચૂંટણીમાં પ્રદીપ કુમાર બલમુચુને હરાવ્યા હતા. જોકે 2014ની ચૂંટણીમાં રામદાસને હારનો સામનો કરવો પડ્યો હતો. રામદાસને ભાજપના લક્ષ્મણ ટુડુએ 6,403 મતોથી હરાવ્યા હતા.

2020ની ચૂંટણીમાં રામદાસે હારનો બદલો લીધો અને લક્ષ્મણ ટુડુને હરાવીને બીજી વખત વિધાનસભામાં પહોંચ્યા હતા. રાજ્યમાં જેએમએમની સરકાર બની, પરંતુ રામદાસને કેબિનેટમાં સ્થાન ન મળી શક્યું. કારણ કે, ચંપાઈને કોલ્હન વિસ્તારના મોટા નેતા માનવામાં આવે છે અને તેમને હેમંત સોરેન સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *