Bhuj,તા.11
ભાતીગળ પ્રદેશ કચ્છને વર્ષ 2001માં તારાજ કરનારા મહાભૂકંપની વરવી યાદો લોકોના માનસપટ પર વારંવાર જીવંત કરી સતત ધ્રુજાવી રહેલા આફ્ટરશોક્સની વણથંભી વણઝાર ચાલુ રહી છે તેવામાં મંગળવારની મધ્યરાત્રીના 1 અને 11 મિનિટે 2.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે.
આ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 11મી માર્ચની રાત્રીના સમયે 1 અને 11 મિનિટે ભચાઉથી 14 કિલોમીટર દૂર હલરા અને રામપર ગામ વચ્ચે કેન્દ્રબિંદુ ધરાવતા 2.8ની તીવ્રતાનું કંપન ઉદભવ્યું હતું.
ભૂકંપના આ કંપનની અસર કેન્દ્રબિંદુ આસપાસના વિસ્તારમાં વિશેષ અનુભવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈશુના નવા વર્ષ 2025ના શરૂઆતી માસમાં 3થી ઉપરની તીવ્રતા ધરાવતા છથી વધુ આંચકા નોંધાઈ ચુક્યા છે અને મુંદરા, માંડવી અને ભચાઉ તાલુકામાં ક્યારેક થતા ભેદી ધડાકા પણ લોકોને સતત ડરાવી રહ્યા છે.