Bangladesh,તા.૧૩
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદ બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. હવે પહેલીવાર ભારત અને બાંગ્લાદેશની સરહદ પર તણાવ જોવા મળ્યો છે. ભારતીય સરહદ સુરક્ષા દળએ બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા માટે સુરક્ષા કડક બનાવી છે. આ કારણે, કોઈ પણ બાંગ્લાદેશી ઘુસણખોર ભારતમાં પ્રવેશી શકતો નથી. બીએસએફ અધિકારીઓ સરહદ પર દરેક બાંગ્લાદેશી શંકાસ્પદ વ્યક્તિની કડક પૂછપરછ કરી રહ્યા છે. આનાથી બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની સરકાર ગુસ્સે થઈ ગઈ છે.
તાજેતરના વિવાદમાં, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે સરહદી તણાવ અંગે ઢાકામાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને સમન્સ પાઠવ્યા હોવાના અહેવાલ છે. આ ઘટનાક્રમ બાંગ્લાદેશના આરોપના કલાકો બાદ આવ્યો છે કે ભારત દ્વિપક્ષીય કરારોનું ઉલ્લંઘન કરીને ભારત-બાંગ્લાદેશ સરહદ પર પાંચ સ્થળોએ વાડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. વર્મા બપોરે ૩ વાગ્યાની આસપાસ મંત્રાલયમાં પ્રવેશતા જોવા મળ્યા.
બાંગ્લાદેશી ઘુસણખોરોને સરહદમાં પ્રવેશતા અટકાવવા માટે ભારતે સરહદ પર વાડ કરવાનું શરૂ કરી દીધું છે. બાંગ્લાદેશ આનાથી નારાજ છે. ભારતીય હાઈ કમિશનરે ઢાકામાં બાંગ્લાદેશના વિદેશ સચિવ જશીમ ઉદ્દીન સાથે આ મુદ્દાઓ પર લગભગ ૪૫ મિનિટ સુધી મુલાકાત કરી હતી. જોકે બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા ચર્ચાઓ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું, અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે હાઇ કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યા છે.