૧૪ ઓગસ્ટથી ઉમેદવારી દાખલ કરી શકાશે : ૨૧ ઓગસ્ટ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે
New Delhi,તા.૭
ભારતના ચૂંટણીપંચે રાજ્યસભાની ૧૨ ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. ૩ સપ્ટેમ્બરે આ પેટાચૂંટણી યોજાશે. ૧૪ ઓગસ્ટથી ઉમેદવારી દાખલ કરી શકાશે. ૨૧ ઓગસ્ટ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે, ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨૬ અને ૨૭ ઓગસ્ટ છે. જ્યારે આ પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી ૨૨ ઓગસ્ટે થશે.
રાજ્યસભાની પેટાચૂંટણી આસામ અને મહારાષ્ટ્રમાં બે-બે બેઠકો અને બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓડિશામાં એક-એક બેઠક પર યોજાશે. હરિયાણા, આસામ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓડિશામાં ભાજપના ઉમેદવાર જીતે તેવી શક્યતા છે કારણ કે આ રાજ્યોમાં ભાજપ સત્તામાં છે અને સંખ્યા ભાજપની તરફેણમાં છે. કેન્દ્રીય પ્રધાનો પીયૂષ ગોયલ, સર્બાનંદ સોનોવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, દીપેન્દ્ર હુડ્ડા, મીસા ભારતી, બિપ્લબ કુમાર દેબ, કે.સી. વેણુગોપાલ સહિત હાલના સભ્યો લોકસભા માટે ચૂંટાવાને કારણે રાજ્યસભાની ૧૦ બેઠકો ખાલી પડી હતી. જ્યારે સભ્યોના રાજીનામાના કારણે બે બેઠકો ખાલી પડી છે.