Bangladesh ની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ, 13 હજાર ભારતીયોને લઈને સરકાર એલર્ટ

Share:

New Delhi,તા.06

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સોમવારે (05 ઓગસ્ટ) કહ્યું કે ‘અમે વડાપ્રધાન પદ પરથી શેખ હસીનાનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે રાષ્ટ્રપતિએ પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને પણ મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેઓ અનેક મામલામાં દોષિત ઠેરવ્યા બાદ નજરકેદ છે. શહાબુદ્દીને સંસદ ભંગ કરીને વચગાળાની સરકાર બનાવવાની પણ જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જે હાલ પૂર્ણ થઈ ગઈ છે. Bangladesh Crisis Live Updates

• બાંગ્લાદેશની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ

કેન્દ્ર સકરાકે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જે હાલ પૂર્ણ થઈ ગઈ છે. સર્વપક્ષીય બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ‘ભારત સરકાર બાંગ્લાદેશની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે, જે પણ પરિસ્થિતિ હશે, તેની જાણકારી આપવામાં આવશે. બાંગ્લાદેશમાં લગભગ 12થી 13,000 ભારતીયો છે. જો કે પરિસ્થિતિ એટલી ચિંતાજનક નથી કે ભારતીયઓને એરલિફ્ટ કરવાની જરૂર પડે. શેખ હસીના ભારતમાં રહેશે કે અન્ય કોઈ દેશમાં રાજકીય આશ્રય લેશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારે હસીના સાથે ટૂંકી ચર્ચા કરી છે.

કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સંકટ અંગે ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવી

બાંગ્લાદેશમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે દિલ્હીમાં હલચલ વધી ગઈ છે. કેન્દ્ર સરકારે પાડોશી દેશની સ્થિતિ પર ચર્ચા કરવા માટે સંસદ ભવન ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશની રાજકીય સ્થિતિ અંગે માહિતી આપશે. કેન્દ્ર સરકારના મંત્રી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, સપાના વડા અખિલેશ યાદવ સહિત વિરોધ પક્ષોના વરિષ્ઠ નેતાઓ સર્વપક્ષીય બેઠકમાં હાજર રહેશે.

દેખાવો પાછળ BNPનો હાથ : અવામી લીગ

બાંગ્લાદેશમાં સત્તાપરિવર્તન પહેલા શાસન કરી રહેલી અવામી લીગ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે દેશવ્યાપી હિંસક દેખાવ પાછળ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)નો હાથ છે. અવામી લીગના મતે, આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પણ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ દર્શાવે છે કે દેખાવો પાછળ વાસ્તવમાં વિદ્યાર્થીઓ નથી, પરંતુ દેશની મુખ્ય વિપક્ષી રાજકીય પાર્ટી – બીએનપી અને પ્રતિબંધિત સંગઠન – જમાત-એ-ઇસ્લામી જવાબદાર છે. તેમનો ઉદ્દેશ્ય કોઈપણ રીતે દેશમાં સત્તા મેળવવાનો છે. વહીવટીતંત્ર પણ સતત વિદ્યાર્થી શાખાઓ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યું છે.

 બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદ સુરક્ષિત : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી આનંદ બોઝે જણાવ્યું હતું કે ‘બાંગ્લાદેશમાં અશાંતિના પગલે ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે પડોશી દેશ સાથેની ભારતીય સરહદ સુરક્ષિત છે. લોકોએ કોઈપણ અફવા પર ધ્યાન ન આપવું જોઈએ.’ આ ઉપરાંત રાજ્યપાલે એક ‘મોનિટરિંગ કમિટી’ની પણ રચના કરી છે, જે લોકોને ખોટી માહિતીની તેમજ અફવા અંગેની જાણકારી લોકો સુધી ચોવીસ કલાક પહોંચાડતા રહેશે. બોઝે વધુમાં કહ્યું કે ‘અફવા ફેલાવનારા અને ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *