Ajit Doval સરહદ વિવાદ પર વાતચીત કરવા ચીનની મુલાકાત લેશે

Share:

New Delhi,તા.16

છેલ્લાં કેટલાક દિવસોમાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદમાં થોડી નરમાઈ જોવા મળી હતી. ડેપસાંગ અને ડેમચોકના ઘર્ષણ બિંદુઓ પછી, બંને દેશો વચ્ચે ફરી એકવાર વાતચીતનો રાઉન્ડ શરૂ થયો છે.

મળતી માહિતી મુજબ, ભારતનાં સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ટૂંક સમયમાં ચીનનાં પ્રવાસે જવાનાં છે.  આ દરમિયાન તેઓ તેમનાં સમકક્ષ અને વિદેશ મંત્રી વાંગ યીને મળી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, તેઓ બેથી ત્રણ દિવસ ચીનનાં પ્રવાસ પર રોકાઈ શકે છે. બંને દેશો આ પ્રવાસની તારીખ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

સૂત્રોનું કહેવું છે કે, ડોભાલ ડિસેમ્બરનાં અંતમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં ચીન જઈ શકે છે. આ દરમિયાન તેઓ વિશેષ પ્રતિનિધિ સ્તરની વાતચીત કરશે. 12 સપ્ટેમ્બરે રશિયાનાં સેન્ટ પીટર્સબર્ગમાં ડોભાલ અને ચીનનાં વિદેશ મંત્રી વાંગ વચ્ચે વાતચીત થઈ હતી.

23 ઓક્ટોબરે બ્રિક્સ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત પણ થઈ હતી. આ પછી, વિદેશ પ્રધાન એસ જયશંકર અને વાંગ યી વચ્ચે 18 નવેમ્બરે રિયો ડી જાનેરોમાં જી 20 સંમેલનમાં વાતચીત થઈ હતી.

20 નવેમ્બરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ તેમનાં ચીની સમકક્ષને મળ્યાં હતાં. તેઓ આસિયાન સંરક્ષણ પ્રધાન પ્લસ બેઠકમાં ભાગ લેવા આવ્યાં હતાં. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી વચ્ચેની બેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું કે વાતચીતને આગળ કેવી રીતે લઈ જવામાં આવશે. બંને દેશો સરહદ વિવાદનો ઉકેલ શોધવા સંમત થયાં હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *