Maharashtra,તા.11
મહારાષ્ટ્રમાં ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકની શરુઆતની 10 મિનિટમાં જ એનસીપી પ્રમુખ અને ઉપમુખ્યમંત્રી અજીત પવારે વોકઆઉટ કર્યું હતું. ફૂલટાઇમ કેબિનેટ બેઠકમાં એકબાજુ 38 મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. તો બીજી તરફ અજીત પવાર બેઠકમાંથી વહેલાં નીકળી જતાં વિપક્ષ સહિત અન્ય પક્ષો માટે ચર્ચાનો વિષય બન્યો હતો.
આ બેઠકમાં નાણા મંત્રાલય દ્વારા મૌલાના આઝાદ નિગમના ભંડોળમાં વૃદ્ધિ, મદરેસામાં શિક્ષકોના ફંડમાં વૃદ્ધિ, વાણી, લોહાર, નાથ પંથના સમુદાયો માટે નિગમ બનાવવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ તમામ નિર્ણયો અત્યંત મહત્ત્વના હોવાથી તેમાં અજીત પવારની ગેરહાજરીએ રાજકારણમાં કંઈક રંધાઈ રહ્યું હોવાની અટકળો શરુ થઈ હતી.
પવાર નારાજ
છેલ્લી કેટલીક કેબિનેટ બેઠકમાં નાણા વિભાગની આપત્તિ બાદ વિવિધ સંગઠનોને જમીનની વહેંચણી કરવામાં સમયસર નિર્ણય લેવામાં ન આવતા અજીત પવાર નારાજ છે. જો કે, અજીત પવારના કાર્યાલય પાસેથી માહિતી મળી હતી કે, અજીત પવાર રતન ટાટાની અંતિમ વિધિમાં સામેલ થવા વહેલા નીકળી ગયા હતા. અજીત પવારનું કહેવું છે કે, નાણા મંત્રી હોવાથી કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર તેમણે જવાબ આપવો પડશે. આ ઘટનાને શિવસેના યુબીટી, એનસીપી શરદ પવાર જૂથ અને કોંગ્રેસના નેતાઓ ભાજપ અને શિવસેના શિંદે જૂથ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.