Ghaziabad,તા.13
મ્યાનમારથી સુરક્ષિત ભારત પરત લાવવામાં આવેલા 514 આઈટી પ્રોફેશ્નલ્સમાંથી 65 લોકોની કેન્દ્રીય એજન્સીની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સૂત્રો અનુસાર મ્યાનમારના મ્યાવાડી શહેરને ચીનની કંપનીઓએ ઠગાઈનો અડ્ડો બનાવી દીધો છે. જયાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ સહિત 50થી વધુ દેશોના લગભગ એક લાખ લોકો કંપનીઓના સકંજામાં છે.
એજન્સીઓ આ ઈનપુટ પર પોતાનો રિપોર્ટ તૈયાર કરી રહી છે. બીજા તબકકામાં ગાજીયાબાદ લાવવામાં આવેલા 231 પ્રોફેશ્નલ્સમાં 31 લોકો ઉતરપ્રદેશના છે. પુછપરછમાં જાણવા મળેલુ કે આ લોકો પાસેથી મ્યાનમારના મ્યાવાડી શહેરમાં બનેલ ફાર્મહાઉસમાં ડિઝીટલ એરેસ્ટ અને અન્ય રીતે સાઈબર ઠગાઈ કરવામાં આવતી હતી.
ખરેખર તો મ્યાનમાર-થાઈલેન્ડની બોર્ડર પર મ્યાવાડીમાં કે.કે. ફાર્મ છે, જેમાં અનેક મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ બનેલી છે. પુરી રીતે ચીની રોકાણથી સંચાલીત આ બિલ્ડીંગોમાં મોટાભાગની કંપનીઓ સાઈબર સ્કેમમાં સામેલ છે. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ફાર્મમાં પ્રોફેશનલના પાસ પોર્ટ જમા કરાવી લેવામાં આવે છે અને ત્યારબાદ સ્કેમની ટ્રેનીંગ આપવામાં આવતી હતી.
છોડવામા આવેલા મોટાભાગના પ્રોફેશનલ્સ આરટીઆઈ, કોમ્પ્યુટરમાં ડિપ્લોમા કે કોલ સેન્ટરમાં કામ કરનારા છે. તેમને એજન્ટો ઉપરાંત ટેલિગ્રામ લિંકડઈનથી નોકરીની ઓફર અપાઈ હતી. ઓનલાઈન ઈન્ટરવ્યુ લીધા બાદ બેંગ્કોકની હવાઈ ટિકીટ અપાઈ હતી.
મ્યાનમારમાં સાઈબર ઠગાઈના ધંધામાં ધકેલવામાં આવેલ 549 ભારતીયોની સુરક્ષિત વાપસી થઈ ગઈ છે. ભારતીય નાગરિકોમાં મોટાભાગે મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશના છે.
એન્ટીએફની નોઈડા યુનિટની પુછપરછમાં બહાર આવ્યું હતું કે મોટાભાગના લોકો મોટી કમાણીની લાલચમાં ફસાઈ ગયા હતા.