Dubai,તા.10
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને જીતવા માટે 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ટીમ ઈન્ડિયાએ સરળતાથી હાંસલ કરી લીધો હતો. આ આખી ટુર્નામેન્ટમાં ભારત માટે વરુણ ચક્રવર્તી, વિરાટ કોહલી, શુભમન ગિલ, રોહિત શર્મા અને મોહમ્મદ શમીએ સારું પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા ખિતાબ જીતવામાં સફળ રહી. રોહિતે ફાઈનલમાં 76 રનની શાનદાર ઈનિંગ રમી. આ જ કારણોસર તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. ભારતીય ટીમે ટાઈટલ જીતતા જ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ આખી ટુર્નામેન્ટમાં અજેય રહી અને એક પણ મેચ ન હારી. ભારતીય ક્રિકેટ ટીમ પહેલી એવી ટીમ બની જેણે ICC વનડે ટુર્નામેન્ટમાં એક પણ મેચ ન હારી, જ્યારે બધી મેચોમાં ટોસ હારી છે. ભારત પહેલાં કોઈ પણ ટીમ આવો ચમત્કાર નથી કરી શકી. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ પાંચ મેચ અને તમામ મેચમાં જીત હાંસલ કરી, પરંતુ કેપ્ટન રોહિત શર્માએ બધી મેચોમાં ટોસ હારી ગયો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે બાંગ્લાદેશ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને ધમાકેદાર અંદાજમાં હરાવ્યા હતા.
ભારતે ન્યૂઝીલેન્ડને બે વાર હરાવ્યું. પહેલી વાર ગ્રુપ સ્ટેજમાં અને બીજી વાર ફાઈનલમાં.ભારતીય ટીમે કુલ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો છે. સૌથી પહેલા ભારતીય ટીમે સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ 2002માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારે ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે સંયુક્ત વિજેતા હતી. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2013નો ખિતાબ જીત્યો હતો. હવે રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ટીમ ચેમ્પિયન બની ગઈ છે. ભારતીય ટીમ એકમાત્ર એવી ટીમ છે જેણે કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે.