Rajasthan ના બાડમેર જિલ્લાના બે ભાઈઓએ ૧૭૧ વીઘા જમીન ગૌચર માટે દાનમાં આપી દીધી

Share:

Barmer, તા.૫

રાજસ્થાનના બાડમેર જિલ્લાના બે ભાઈઓએ ૧૭૧ વીઘા જમીન પશુઓના ચારા માટે દાનમાં આપીને શાનદાર ઉદાહરણ રજૂ કર્યું છે. જેની આજે ચારેતરફ ચર્ચા થઈ રહી છે. બંને ભાઈઓએ પોતાના ખાતે રહેલી જમીન પશુઓને ચરવા માટે રાજીખુશીથી દાનમાં આપી દીધી છે. બંને ભાઈઓએ ઉપખંડ અધિકારીની સામે પોતાના દસ્તાવેજો આપ્યા હતા. આજના આ યુગમાં કેટલાય લોકો ગૌવંશને ચરવા માટે ગૌચરની જમીન હડપી લેતા પણ અચકાતા નથી, તો વળી બીજી તરફ બાડમેરની ધરતી પર આજે પણ પ્રાણી માટે આવા દિલદાર લોકો જોવા મળે છે.

આ કિસ્સો રાજસ્થાનના બાડમેરના સરહદી ગામ મગરાનો છે, જ્યાં રહેતા બે ભાઈઓએ પોતાના ખાતે રહેલી ૧૭૧ વીઘા જમીન ગૌચર માટે દાનમાં આપી દીધી છે. જેથી પશુઓને ચરવા માટે કામમાં આવી શકે. ૧૭૧ વીઘા જમીન દાન કરવા માટે બંને ભાઈઓ ગડરારોડ ઉપખંડ અધિકારી અનિલ જૈન પાસે આવીને પોતાના ખેતરના દસ્તાવેજ સોંપી દીધા હતા.

ટીડીઓ સુરેશ ચૌધરીએ જણાવ્યું કે, ગુરુવારે ગ્રામ પંચાયત મગરાના ખેતસિંહ, પુત્ર સંગત સિંહ અને ભીમ સિંહ પુત્ર સગત સિંહ રાજપૂતે પોતાના ખાતે રહેલી જમીનમાંથી ૧૭૧ વીઘા જમીન ગૌચર માટે દાનમાં આપી દીધી હતી. આ સંબંધમાં તેમણે ગડરારોડ ઉપખંડ કચેરીમાં આવીને જરુરી કાર્યવાહી પુરી કરી પોતાની જમીનની કાગળ જમા કરાવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, મોટા ભાગે આજના સમયમાં જ્યાં ગૌચર અથવા સરકારી જમીન પર દબાણ કરી લેતા અનેક લોકોને તમે જોયા હશે. પમ આ બંને ભાઈઓએ દરિયાદિલી દેખાડતા પોતાના ખાતે રહેલી ૧૭૧ વીઘા જમીન દાન કરીને શાનદાર ઉદાહરણ રજૂ કર્યું છે. ઉપખંડ અધિકારી અનિલ જૈન અને તાલુકા વિકાસ અધિકારી સુરેશ ચૌધરીએ ભામાશાહ ખેતસિંહ અને ભીમસિંહ સહિત આખા પરિવારનું સન્માન કર્યું હતું.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *