Ahmedabad,તા.21
જંત્રીના સૂચિત ભાવ વધારાની નીતિ એછે કે, ખેડૂત મરો, મિલકત ખરીદનાર મરો, ડેવલપર્સ મરો પણ સરકારનું તરભાણું ભરો. જંત્રીના સૂચિત ભાવ વધારાથી મધ્યમવર્ગ જ નહીં, બાંધકામ ક્ષેત્ર અને અર્થતંત્રને મોટું નુકસાન થશે. એવી માંગ કરવામાં આવી છેકે, ગુજરાત સરકાર જંત્રીનો સૂચિત વધારો પરત લે.
12 વર્ષ સરકારની ઊંઘ ન ઊડી
વર્ષ 2011માં સરકારે જંત્રીનો ભાવ વધારો કયી ત્યારે જાહેર કર્યું હતું કે મોંઘવારીનો દર, વિકાસનો દર, ફુગાવાનો દર ધ્યાનમાં રાખી વધારો થશે. એટલુ જ નહીં, એનું પણ મૂલ્યાંકન થશે. દર વર્ષે 8 ટકાના દરથી જંત્રીનો ભાવવધારો કરીશું. 12 વર્ષ સુધી સરકારની ઊંઘ ના ઊડી. કોઈપણ જાતનો અભ્યાસ કે સર્વે કરાયો નથી.
‘નવા પ્રોજેક્ટ શરુ નહીં થાય તો મજુરોને રોજગારીનો પ્રશ્ન ઊભો થશે’
હવે વર્ષ 2023માં અચાનક જંત્રી વધારો કરી દેવાયો છે તેવો આક્ષેપ કરતાં વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ‘સરકાર મનમાની કરી જંત્રીનો ભાવવધારો અમલી બનાવશે બાંધકામ ઉદ્યોગને નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં ખુબ જ મુશ્કેલી થશે. તેમજ નાણાકીય ભીડનો સામનો કરવો પડશે. નવા પ્રોજેક્ટ શરુ નહીં થાય તો મજુરોને રોજગારીનો પ્રશ્ન ઊભો થશે. રો-મટિરિયલના વેચાણમાં ઘટાડો થશે જે એકંદરે અર્થતંત્રને અસર કરશે.’
કોંગ્રેસ નેતા અમિત ચાવડા જણાવ્યું હતું કે, ‘ખેતીની જમીનમાં જંત્રીના ભાવવધારાથી ખેડૂતોને ખેતીની જમીન ખરીદવામાં મોટી રકમની સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફ્રીની રકમ ચુકવવી પડશે. જેથી જમીન વેચાણ સમયે મુશ્કેલી થશે. ખેતીની જમીનમાં હાલની જંત્રી કરતા અંદાજે બે થી દસ ગણો ભાવ વધારો સુચવાયો છે. જે લોકો ખેતીની જમીન વેચાણ કરવા માંગતા હશે તેઓ વેચાણ નહીં કરી શકે અને જેઓને ખરીદી કરવી હશે તે ખરીદી પણ નહીં કરી શકે. તેમણે એવી માંગ કરી કે, ફક્ત ને ફક્ત આવક વધારવા જંત્રીનો સૂચિત ભાવ વધારો છે તે સરકાર પરત લે. વાંધા-સૂચનનો છેલ્લો દિવસ છે ત્યારે તોતિંગ જંત્રીનો ભાવ વધારોનો વિરોધ કરીએ છીએ’