New Delhi, તા.10
સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સતત વધી રહેલા તનાવમાં આખરે વિપક્ષોએ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે મહાભિયોગ એટલે કે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરી દીધો હતો.
રાજ્યસભાના સેક્રેટરી જનરલને બંધારણની કલમ 67-બી હેઠળ ગૃહને સભાપતિમાં વિશ્વાસ નથી તેવો પ્રસ્તાવ રજુ કરતાં હવે આ ટક્કર ચરમસીમાએ પહોંચી છે. વિપક્ષોના 60 સાંસદોએ તેના પર સહી કરી છે જેમાં કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, ટી.એમ.સી., સી.પી.આઇ., સીપીઆઇ-એમ, ઝારખંડ મુક્તિ મોરચા, આમ આદમી પાર્ટી તથા ડીએમકેનો સમાવેશ થાય છે.
જો કે તમામ પક્ષોના નેતાઓએ એટલે કે સોનિયા ગાંધી સહિતના પક્ષના શિર્ષ નેતાઓએ તેમાં સહી કરી હતી. આ પ્રકારના પ્રસ્તાવમાં ઓછામાં ઓછા 50 સભ્યોની સહીની જરુર રહે છે. જો કે નિયમ મુજબ પ્રસ્તાવ પર 14 દિવસ બાદ નિર્ણય લેવાય છે અને સંસદનું વર્તમાન સત્ર તા.20ના રોજ પુરું થઇ રહ્યું છે.
તેથી તે આ સત્રમાં આવશે નહીં. બીજી તરફ રાજ્યસભામાં બહુમતિ સભ્યો આ પ્રસ્તાવને સમર્થન આપે તે જરુરી છે અને બાદમાં લોકસભાએ પણ તેને મંજુર કરવો પડે. પણ બંનેમાંથી કોઇપણ ગૃહમાં વિપક્ષી બહુમતિ નથી તેથી જ પ્રસ્તાવ પસાર થશે નહીં તે નિશ્ચિત છે.
પણ વિપક્ષોએ સભાપતિ જગદીપ ધનખડ દ્વારા જે રીતે વિપક્ષો પર આક્રમક વલણ અપનાવવાનો આરોપ છે તે બદલ વિપક્ષો આ પ્રકારના પ્રસ્તાવ લાવી તેને ચર્ચામાં લાવવાનું ફરજીયાત બને તે નિશ્ચિત કરી રહ્યા છે અને જો પ્રસ્તાવ દાખલ થશે પછી આગામી સત્રમાં તેના પર ચર્ચા થશે અને મતદાન થશે.