જ્યોર્જ સોરોસના મુદ્દે રાજ્યસભામાં જોરદાર હંગામો, Sonia Gandhi સાથે કનેક્શન પર ચર્ચા કરવાની માંગ

Share:

New Delhi,તા.૯

સોમવારે રાજ્યસભામાં સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ અને વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યો વચ્ચે ભારે હોબાળો થયો હતો.એનડીએએ કોંગ્રેસ પર વિદેશી સંગઠનો દ્વારા દેશની સરકાર અને અર્થવ્યવસ્થાને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે આરોપ લગાવ્યો છે કે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સંસ્થા સાથે સંબંધ ધરાવે છે, જેણે કાશ્મીરને ભારતથી અલગ કરવાના વિચારને સમર્થન આપ્યું છે. ભાજપના નેતાઓએ આ મુદ્દા પર ચર્ચાની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી બે વખત સ્થગિત કર્યા પછી બપોરે ૩ઃ૦૦ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

હોબાળા વચ્ચે ભાજપના નેતા જેપી નડ્ડાએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓ જ્યોર્જ સોરોસ જેવા વિદેશી સંગઠનો અને ઉદ્યોગપતિઓ સાથે સાંઠગાંઠ કરીને દેશની સુરક્ષા અને સ્થિરતાને જોખમમાં મૂકે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ’ફોરમ ઑફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિક’ જેવી સંસ્થાઓ જમ્મુ અને કાશ્મીરને એક અલગ સંસ્થા તરીકે જુએ છે અને તેની નાણાકીય સહાય રાજીવ ગાંધી ટ્રસ્ટ સાથે જોડાયેલી છે.

આ પછી, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જેપી નડ્ડાના આરોપોને સંપૂર્ણ રીતે ખોટા ગણાવીને વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે શાસક પક્ષના લોકો પોતે જ ’વિશ્વાસઘાત’ કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા આ હંગામો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની નીતિઓને છુપાવવા અને મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

અધ્યક્ષ જગદીપ ધનખરે વારંવાર બંને પક્ષોને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હંગામો ચાલુ રહ્યો. દરમિયાન, કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે અદાણી અને જ્યોર્જ સોરોસ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા ટાળવા માટે શાસક પક્ષના સભ્યો જાણીજોઈને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *