Bharuch તા.૩
ગુજરાતમાં દિવસે દિવસે નવા નવા કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે ભરૂચમાં નકલી દસ્તાવેજો બનાવી ૯૨ લાખની કિંમતની જમીન વેચી છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના ચાવજ ગામે શિક્ષકની જમીન ઐયુબ અલી પટેલ અને તેમના પુત્ર આમીર નામના વ્યક્તિએ ખોટા દસ્તાવેજોના આધારે વેચી મારી હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના ખોડિયાર નગર ખાતે રહેતાં અખિલેશ શર્મા આઇઆઇટી આશ્રમ ખાતે શિક્ષક તરીકેની નોકરી કરે છે.
તેમની ભરૂચના ચાવજ ગામે આવેલી જમીન ઐયુબ અને તેના પુત્ર આમીરે ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોષી નામના વ્યક્તિ સાથે મળી ફોટો અને બોગસ ડોક્યુમેન્ટ બનાવી રજિસ્ટ્રાર ઓફિસમાં જમીનનો દસ્તાવેજ કરી નાખ્યો હતો. આ જમીનની કિંમત ૯૨ લાખ જેટલી થાય છે.નકલી દસ્તાવેજ બનાવી જમીન વેચવાના કાવતરાની શિક્ષકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.