Rahul Gandhi ની નાગરિકતા મામલે હાઇકોર્ટે સ્ટેટસ રિપોર્ટ માગ્યો

Share:

ભારતનો નાગરિકતા કાયદો ૧૯૫૫ અને બંધારણ સ્પષ્ટ કરે છે કે, ભારતમાં બેવડી નાગરિકતા માન્ય નથી

New Delhi, તા.૨૭

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા પર સવાલ ઉઠાવતી અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજીએ નવો વિવાદ સર્જ્યો છે. અરજદાર એસ. વિગ્નેશ શિશિરે દાવો કર્યો છે કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે, જેના કારણે તેમની ભારતીય નાગરિકતા રદ કરવી જોઈએ. આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો છે. કોર્ટે મંત્રાલયને પૂછ્યું કે, અરજદાર દ્વારા રજૂ કરાયેલા પુરાવા, દસ્તાવેજો અને વીડિયો પર અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે? જેના જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે, આ મામલો “પ્રક્રિયામાં” છે અને “સક્રિય વિચારણા હેઠળ” છે. આ કેસની આગામી સુનાવણી હવે ૧૯મી ડિસેમ્બરે થશે. આ સાથે કોર્ટે ભારત સરકારને ૧૯ ડિસેમ્બર સુધીમાં સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવા અને આ મામલે અંતિમ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. એસ. વિગ્નેશ શિશિરના જણાવ્યા અનુસાર, બ્રિટિશ નાગરિકતા અંગે રાહુલ ગાંધીના નામનો રેકોર્ડ બ્રિટનમાં નોંધાયેલો છે. અરજદારે આ દસ્તાવેજ અને અન્ય ગોપનીય પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. તેમનું કહેવું છે કે, આ પુરાવા સાબિત કરે છે કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે.ભારતનો નાગરિકતા કાયદો ૧૯૫૫ અને બંધારણ સ્પષ્ટ કરે છે કે, ભારતમાં બેવડી નાગરિકતા માન્ય નથી. જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ દેશની નાગરિકતા મેળવે છે, તો તેની ભારતીય નાગરિકતા આપોઆપ રદ થઈ જાય છે. અરજદારે કહ્યું કે, રાહુલ ગાંધીએ કથિત રીતે બ્રિટિશ નાગરિકતા લીધી છે, જે ભારતીય કાયદાની વિરુદ્ધ છે. તેથી તેમની ભારતીય નાગરિકતા રદ કરવી જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *