Jamnagar,તા.15
જામનગરના રામેશ્વર નગર ચોક પાસે હનુમાનના મંદિર નજીકથી ગઈ રાતે પસાર થઈ રહેલી જી.જે-10 ડી.જે.8280 નંબરની સ્વીફ્ટ કાર ઓવરસ્પીડના કારણે બેકાબૂ બની હતી, અને ગોળાઈમાં જ આવેલા એક મકાનની દિવાલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. જે ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં કારચાલક યુવાનનું બેશુદ્ધ થયા પછી ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં અને અવાજના કારણે સૌપ્રથમ આડોશી પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા, અને સૌ પ્રથમ 108 ની ટીમને બોલાવી હતી. જે 108 ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને કારચાલકને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો, ત્યારબાદ પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ કરવામાં આવી હતી. જેના ખિસ્સામાંથી એક પાનકાર્ડ મળી આવ્યું હતું, જેમાં તેનું નામ પ્રફુલસિંહ મહિપતસિંહ જાડેજા હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાથમિક તપાસ દરમિયાન ઉપરોક્ત કારચાલકને એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે, તેના રિપોર્ટના આધારે મૃત્યુનું કારણ જાણી શકાશે. પોલીસ તપાસ દરમિયાન ગાયને બચાવવા જતાં અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે.