હાથની આંગળી કપાઈ જતાં કામ થઇ શકતું ન હોય પતિએ ઝેર પી લેતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી
Jamnagar,તા.08
જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં ભારે કરુણ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દંપતીએ સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે પત્નીની હાલતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.પતિની હાથની આંગળી કપાઈ જતાં કામ થઈ શકતું ન હોવાથી આપઘાતનું પગલું ભર્યું હતું, તેને જોઈ જતાં પત્નીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામના વતની ભદ્રેશસિંહ મંગુભાઈ જાડેજા (ઉ.વ.૩૪) કે જેઓ અગાઉ અમદાવાદમાં રહેતા હતા, અને કારખાનામાં કામ કરતા હતા. ત્યાં તેઓની હાથની આંગળી કપાઈ ગઈ હતી અને કામ કરી શકતા ન હતા.
દરમિયાન તેઓ જામનગર પોતાના વતન ચાંપાબેરાજા ગામે આવી ગયા હતા અને ગત ૨૭મી તારીખે રાત્રિના સમયે ભદ્રેશસિંહે પોતાની હાથની તકલીફ ના કારણે જિંદગીથી તંગ આવી જઇ ઘરમાં પડેલી ઝેરી દવા પી લીધી હતી. આ વેળાએ તેમના પત્ની હિરલબા ભદ્રસિંહ જાડેજા જોઈ ગયા હતા અને પતિ ના હાથમાંથી ઝેરી દવા ની બોટલ ઝુંટવી લઈ પોતે પણ ઘુંટડો પી લીધો હતો.
આ બનાવ બાદ પતિ-પત્ની બંનેને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન ભદ્રેશસિંહ જાડેજા નું મૃત્યુ નિપજ્યું હતું.જોકે પત્ની હિરલબાની તબિયતમાં સુધારો થતાં તેણીને જી.જી. હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. જેમાં જાહેર કરાયું હતું, કે પોતાના પતિ ભદ્રસિંહ કે જેઓની હાથની આંગળી કપાઈ ગઈ હોવાથી કામ કરી શકતા ન હોવાના કારણે આપઘાતનું પગલું ભરી લીધું હતું અને પતિના આ પગલાથી આઘાતમાં આવી જતાં પોતે પણ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને લઈને ચાંપાબેરાજા ગામમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.