નોટબંધીનો ઉદ્દેશ રોકડ પર નિર્ભરતા ઘટાડવા અને ડિજિટલ ટ્રાન્જેક્શનને વેગ આપવાનો હતો, પરંતુ તેની અસર નહિંવત્ત રહી છે : રાહુલ ગાંધી
New Delhi, તા.૮
મોદી સરકારે આઠ નવેમ્બર, ૨૦૧૬માં મધ્ય રાત્રિએ જ ૫૦૦ અને ૧૦૦૦ની નોટો પર પ્રતિબંધ લાદતાં નોટબંધી લાગુ કરી હતી. આમ કરવા પાછળનું કારણ ભ્રષ્ટાચારમાં ઘટાડો અને કાળા નાણાંને બહાર કઢાવવા ઉપરાંત રોકડના સર્ક્યુલેશનમાં ઘટાડો કરવાનો હતું.
સદનમાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ નોટબંધીને આઠ વર્ષ પૂર્ણ થતાં આ ઐતિહાસિક ઘટનાને ફરી યાદ કરતાં કેન્દ્ર સરકાર પર સકંજો કસ્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, નોટબંધી બાદ પણ આજે પણ ભારતમાં રોકડનો ઉપયોગ વધુ છે. નોટબંધીનો ઉદ્દેશ રોકડ પર નિર્ભરતા ઘટાડવા અને ડિજિટલ ટ્રાન્જેક્શનને વેગ આપવાનો હતો, પરંતુ તેની અસર નહિંવત્ત રહી છે.
સોશિયલ મીડિયા ઠ પર રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, નિષ્ણાતોનું માનવુ છે કે,નોટબંધીથી એમએસએમઈ અને બિનસંગઠિત ક્ષેત્રો પર ઊંડી અસર થઈ છે. જેના કારણે માર્કેટમાં મોટા વેપારોનો એકાધિકાર વધ્યો છે, અને નાના ઉદ્યોગોને નુકસાન થયું છે.
આર્થિક સ્થિતિ અંગે વાત કરતાં ગાંધીએ જણાવ્યું હતું કે, અર્થશાસ્ત્રીઓના મતે દેશમાં ખોટી નીતિઓના કારણે વેપાર જગત માટે ભયનો માહોલ સર્જાયો છે. દેશની આર્થિક ક્ષમતા નબળી પડી છે. આર્થિક વિકાસ રૂંધાયો છે. જેને એવી નીતિની જરૂર છે, જે નિષ્પક્ષતા અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે અને નાના અને પ્રમાણિક ધંધાઓને વેગ આપે.
૮ નવેમ્બર ૨૦૧૬ની તારીખ દેશમાં એક મોટા નિર્ણય અને પરિવર્તનની સાક્ષી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. તે જ દિવસની મધરાતથી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ભારે ખળભળાટ મચી ગયો હતો, પરંતુ ત્યારબાદ નવી નોટો કરન્સી માર્કેટનો એક ભાગ બની હતી.
વર્ષ ૨૦૨૨ના એક રિપોર્ટ અનુસાર, નોટબંધી બાદ દેશમાં રોકડનું સર્ક્યુલેશન ૭૧.૮૪ ટકા વધ્યું હતું. જ્યારે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ૪ નવેમ્બર ૨૦૧૬ના રોજ દેશમાં ૧૭.૭ લાખ કરોડ રૂપિયાની રોકડ હતી.
જ્યારે ૨૯ ઓક્ટોબર ૨૦૨૧થી તે વધીને ૨૯.૧૭ લાખ કરોડ રૂપિયા થયુ હતું. ૨૦૨૧માં નોટોના સર્ક્યુલેશનમાં લગભગ ૬૪ ટકાનો વધારો થયો હતો, વર્ષ ૨૦૨૨માં એટલે કે નોટબંધીના છઠ્ઠા વર્ષે નોટનું ચલણ વધી ૭૨ ટકા નોંધાયુ હતું.