Maharashtra,તા.11
મહારાષ્ટ્રમાં આગામી મહિનાઓમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ભાજપ હરિયાણાની જીતમાં અકસીર સાબિત થયેલી રણનીતિનો અમલ મહારાષ્ટ્રમાં કરતો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રની એનડીએ સરકારે ગુરુવારે આયોજિત કેબિનેટ બેઠકમાં બે મોટા નિર્ણયો લીધા છે. જેમાં એક તરફ તેણે રાજ્યની અનુસૂચિત જાતિ આયોગને બંધારણીય દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે, તો બીજી બાજુ કેન્દ્ર સરકારને ઓબીસી ક્રિમીલેયરની મર્યાદા વધારી રૂ. 15 લાખ કરવા ભલામણ કરી છે. હાલ તે રૂ. 8 લાખ છે.
પછાત વર્ગને પણ આવરી લીધો
રાજ્ય સરકારે પછાત વર્ગને આવરી લેતાં મહારાષ્ટ્રની 19 ઓબીસી જાતિ અને પેટા જાતિઓને કેન્દ્રની પછાત યાદીમાં સામેલ કર્યા છે. જેમાં ગુર્જર, લોધ, ડાંગરી, ભોયર વગેરે સામેલ છે. આ નિર્ણયો ચૂંટણીના સમીકરણો બદલી શકે છે.
આ બેઠકો પર થઈ શકે લાભ
આગામી મહિને ચૂંટણી યોજાઈ શકે છે. નિષ્ણાતોના મતે, જે 19 ઓબીસી વર્ગને કેન્દ્રીય યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમની સંખ્યા 30 બેઠકો પર વધુ છે. જે ચૂંટણીના પરિણામો બદલી શકે છે. બીજી તરફ 12થી વધુ બેઠકો પર દલિત સમુદાયનો નિર્ણય અંતિમ રહે છે. તેમની વસ્તી વધુ હોવાથી તેઓ ચૂંટણીના સમીકરણો બદલવાની તાકાત ધરાવે છે.
મિશન40 પ્લાન તૈયાર
આ તમામ સમીકરણોને જોડતાં મિશન40નો પ્લાન તૈયાર કર્યો છે. ભાજપ, શિવસેના અને એનસીપીનું ગઠબંધન રાજ્યમાં નવી જાહેરાતો અને નવા લાભો દ્વારા સમીકરણો બદલવામાં સફળ થઈ શકે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી મરાઠા આંદોલન જારી છે. મનોજ જારાંગે પાટિલના નેતૃત્વમાં મરાઠા અનામત માટે આંદોલન કરી રહ્યા છે. રાજ્યમાં તેમની વસ્તી 30 ટકા આસપાસ છે. જેનો મોટો હિસ્સો સરકારથી નારાજ થયો તો નુકસાન થઈ શકે છે.
મહારાષ્ટ્રમાં હરિયાણાવાળી થશે?
મહારાષ્ટ્રની વર્તમાન સરકાર મરાઠા આંદોલનની અસરથી વાકેફ છે. જેથી તે ઓબીસી, એસસી, મુસ્લિમ સહિતના વર્ગોને પોતાની તરફેણમાં કરવા પ્રયાસ કરી રહી છે. આ રણનીતિ હરિયાણા જેવી છે. હરિયાણામાં ભાજપે જાટના રોષની અસર ઘટાડવા અન્ય ઓબીસી જાતિઓ ગુર્જર, કશ્યપ, સૈની, કુંભાર, સોની જેવી તમામ જાતિઓને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો.