Mumbai,તા,26
મુંબઈમાં બુધવાર (25 સપ્ટેમ્બર) ની સાંજે અચાનક શરૂ થયેલા ભારે વરસાદે તબાહી મચાવી હતી. ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં અને વાહન-વ્યવહાર ખોરવાઈ ગયું હતું. બીજી બાજું બીએમસીની બેદરકારીના કારણે અંધેરી વિસ્તારમાં ગટરમાં પડવાથી એક મહિલાનું મોત નિપજ્યું છે. મૃતક મહિલાના પતિ બીએમસીની સામે ફરિયાદ કરવા એમઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. અંધેરીમાં ગટરમાં પડીને મહિલાની મોતને લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મોડી રાત્રે મળ્યો મૃતદેહ
મળતી માહિતી મુજબ, મહિલા ઘરેથી કામ માટે બહાર જઈ રહી હતી. આ દરમિયાન ભારે વરસાદ પણ વરસી રહ્યો હતો અને ચોતરફ પાણી ભરાયેલા હતાં. એ જ રસ્તા પર વચ્ચે ખુલ્લી ગટર હતી અને મહિલા અચાનક તેમાં પડી ગઈ. ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાની તપાસ કરી. જોકે, મોડી રાત્રે રેસ્ક્યુ ટીમને મહિલાનો મૃતદેહ મળ્યો હતો.
પરિવારે બીએમસી પર લગાવ્યા આરોપ
મૃતક મહિલાની પિતરાઇ બહેન ઉષા સાબલેએ જણાવ્યું કે, ‘અમને મોડી રાત્રે લગભગ 11:30 વાગ્યે પોલીસનો ફોન આવ્યો. જેમાં કહેવાયું કે, તમારા એક પરિજનનની મોત થઈ ગઈ છે. આ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. અમે ફરિયાદ નોંધાવી છે. આ બીએમસીની ઘોર બેદરકારી છે, કારણકે ત્યાં કોઈ સાઇન બોર્ડ લગાવાયું ન હતું.’
વિપક્ષે કર્યાં પ્રહાર
મૃતક મહિલાની ઓળખ વિમલ અપ્પાશા ગાયકવાડ તરીકે થઈ છે. આ ઘટના બાદ એકવાર ફરી મુંબઈ મહાનગર પાલિકા પર સવાલ થઈ રહ્યા છે. શિવસેના UBT પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે, 2-3 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબી ગઈ. અંધેરી વિસ્તારમાં ગટરમાં પડવાના કારણે મહિલાની મોત થઈ ચુકી છે. બીએમસીની બેદરકારીના કારણે મહિલાની મોત થઈ છે. અધિકારીઓ મજાક કરી રહ્યાં છે. બીએમસીના અધિકારી ખુલ્લી ગટરો બંધ કરો, નહીંતર લોકો જીવ ગુમાવતા રહેશે.’
મુંબઈમાં બુધવારે ભારે વરસાદના કારણે માયાનગરીની ગતિ જાણે ધીમી પડી ગઈ હતી, પરંતુ હવે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. હાલ પરિસ્થિતી સામાન્ય છે, વરસાદ રોકાઈ ગયો છે. લોકલ ટ્રેન પણ સમયસર ચાલી રહી છે. સેન્ટ્રલ, વેસ્ટર્ન અને હાર્બર ત્રણેય લાઇન પર લોકલ ટ્રેન સમયસર શરૂ થઈ ગઈ છે. ગઈકાલે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી, ત્યાં પાણી ઓસરી ગયાં છે.