Jaipur,તા.૨૩
રાજસ્થાનના જયપુરમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. સુરક્ષા કોર્ડન તોડીને એક વિદ્યાર્થી રાજનાથ સિંહને મળવા પહોંચ્યો હતો, પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને ધક્કો મારીને બહાર કાઢ્યો હતો. તેના પર કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો અને તેની વાત સાંભળી.
કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સોમવારે રાજસ્થાનના જયપુર પહોંચ્યા, જ્યાં તેમણે સીકર રોડ પર સ્થિત શ્રી ભવાની નિકેતન સ્કૂલના કેમ્પસમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન કાર્યક્રમની સમાપ્તિ પછી, તેઓ એરપોર્ટ જવા માટે રવાના થઈ રહ્યા હતા, પરંતુ તે પહેલા તેમની સુરક્ષામાં એક મોટી ખામી સર્જાઈ હતી.
કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ તેમની કારમાં બેસીને જતા હતા ત્યારે એક વિદ્યાર્થી સુરક્ષા કોર્ડન તોડીને તેમની પાસે પહોંચ્યો હતો. આના પર સુરક્ષાકર્મીઓએ વિદ્યાર્થીને પકડીને રાજનાથ સિંહના કાફલામાંથી બહાર ધકેલી દીધો હતો. આ દરમિયાન જ્યારે કેન્દ્રીય મંત્રીની નજર તે વિદ્યાર્થી પર પડી તો તેમણે તેને પોતાની પાસે બોલાવ્યો અને તેની વાત સાંભળી.
વિદ્યાર્થીએ રાજનાથ સિંહને જણાવ્યું કે તે ૧૦મા ધોરણમાં અભ્યાસ કરે છે અને એનસીસી કેડર છે. તે જયપુરમાં એકલો રહે છે. તેમની માતા ઝાલાવાડમાં સરકારી શિક્ષિકા છે, પરંતુ તેમની અહીં બદલી થઈ રહી નથી. કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીની વાત સાંભળી, પરંતુ તેની અરજી સ્વીકારી નહીં.