Jammu-kashmir,તા.07
ભારતીય સૈન્યએ જમ્મુ કાશ્મીરમાં લાઇન ઑફ કન્ટ્રોલ એટલે કે પાકિસ્તાન સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમ(BAT)ના આતંકી પણ સામેલ છે.
7 પાકિસ્તાની ઘૂસણખોરો ઠાર મારવામાં આવ્યા
સૂત્રોએ જણાવ્યું કે ભારતીય સૈન્યએ 4-5 ફેબ્રુઆરીએ રાત્રે એલઓસી પર ભારતીય ચોકી પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા ઘાત લગાવી કરાયેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન 7 પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા હતા. આ ઘૂસણખોરોમાં 2થી 3 પાકિસ્તાની આર્મીના જવાનો પણ સામેલ હોવાનો દાવો કરાયો છે. આ ઘટના જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આવેલી કૃષ્ણા ઘાટીના સેક્ટરમાં બની હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે LOC પર પાકિસ્તાની ઘૂસણખોરોને જોતાં જ ભારતીય જવાનોએ ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં ‘આતંકવાદી સંગઠન અલ-બદ્ર’ના આતંકવાદીઓ પણ સામેલ હતા.
5 ફેબ્રુએ પાક. ‘કાશ્મીર એકતા દિવસ’ તરીકે ઉજવવાનો ઢોંગ કરતું હતું
આ ઘટના બની ત્યારે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર અંગે પોતાનો પ્રચાર કરી રહ્યું હતું અને 5 ફેબ્રુઆરીને કાશ્મીર એકતા દિવસ તરીકે ઉજવવાનો ઢોંગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના કહેવાતા કાશ્મીર એકતા દિવસ નિમિત્તે 5 ફેબ્રુઆરીના રોજ લાહોરમાં આયોજિત એક રેલીમાં આતંકવાદી હાફિઝ સઇદના પુત્ર તલ્હા સઇદે ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું. રેલીને સંબોધન કરતી વખતે તલ્હા સઇદે અનેક ડંફાસ મારી હતી. તેણે કહ્યું કે, અમે કાશ્મીરને આઝાદ કરાવીશું.