Jalpaiguri,તા.09
બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાયા બાદથી ભારતની સરહદે પણ તણાવ વધી ગયો છે. અનેક બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં છે તેવા અહેવાલ સતત આવતા ટેન્શન વધી ગયું છે. આ દરમિયાન તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં જલપાઈગુડી જિલ્લાની નજીક 300 જેટલાં બાંગ્લાદેશીઓ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે.
BSFએ તેમને અટકાવ્યાં
માહિતી અનુસાર ભારતમાં બોર્ડર પર તહેનાત બીએસએફના જવાનોએ તેમને હટાવી દીધા હતા અને તેમના ઈરાદાઓમાં સફળ થવા દીધા ન હતા. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અનામતની માગ સાથે ભડકેલા વિદ્યાર્થીઓના દેખાવો બાદથી હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાંના વડાપ્રધાન શેખ હસીના હાલ ભારતમાં શરણ લઈ રહ્યા છે અને નવા વચગાળાના વડાપ્રધાન તરીકે મોહમ્મદ યુનુસે સત્તા સંભાળી લીધી છે.
વડાપ્રધાન મોદીએ આપી હતી શુભેચ્છા
બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન બનતાં જ મોહમ્મદ યુનુસને વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી હતી. આ સાથે વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી હતી કે બાંગ્લાદેશમાં જલ્દી જ સ્થિતિ સામાન્ય બની જશે અને દેશમાં હિન્દુઓ અને લઘુમતી સમુદાયોને સુરક્ષા મળશે. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે બંને દેશો લોકોની સંયુક્ત આકાંક્ષાઓને પૂરી કરવા માટે બાંગ્લાદેશ સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે.