દુર્ઘટનાના કારણે આગ્રાથી દિલ્હી જતી અને દિલ્હીથી આગ્રા આવતી ટ્રેનો જ્યાં હોય ત્યાં રોકી દેવામાં આવી છે
Uttar Pradesh, તા.૧૯
ઉત્તર પ્રદેશના મથુરામાં આગરાથી દિલ્હી જઈ રહેલી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે આગ્રા-દિલ્હી રેલ્વે ટ્રેક ખરાબ રીતે ખોરવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ માલગાડીના ૨૦થી વધુ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. દુર્ઘટનાના કારણે આગ્રાથી દિલ્હી જતી અને દિલ્હીથી આગ્રા આવતી ટ્રેનો જ્યાં હોય ત્યાં રોકી દેવામાં આવી છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે ટ્રેકને રિપેર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં રેલ વ્યવહાર સુચારૂ રીતે શરૂ કરવામાં આવશે. અકસ્માતના કારણે સેંકડો મુસાફરો મુંઝવણમાં મુકાયા છે. દરમિયાન, આગ્રા રેલ્વે વિભાગના મથુરામાં વૃંદાવન અને અજાઈ વચ્ચે કોલસા વહન કરતી માલગાડી રાત્રે લગભગ ૮.૩૦ વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના ૨૦ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે અને ટ્રેક પર કોલસો ફેલાઈ ગયો છે. લાઇન સપ્લાયના થાંભલા પણ તૂટી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે રેલવે ટ્રેકને રિપેર કરવામાં ઓછામાં ઓછા ૧૦-૧૨ કલાકનો સમય લાગશે. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગરા રેલ્વે વિભાગના પીઆરઓ પ્રશસ્તિ શ્રીવાસ્તવે જણાવ્યું કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દિલ્હી-આગ્રા અપ-ડાઉન ટ્રેક ખોરવાઈ ગયો છે અને તેને રિપેર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, અકસ્માત મોટો છે અને રેલ્વે ટ્રેકને સરળતાથી ચલાવવામાં ઓછામાં ઓછા ૧૦ થી ૧૨ કલાકનો સમય લાગી શકે છે. બે લાઈનો બંધ થઈ ગઈ છે જ્યારે ત્રીજી લાઈનને પણ અસર થઈ છે.