Hyderabad, તા.૧૭
યુપી વિધાનસભાના શિયાળુસત્રના પહેલા દિવસે સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૃહમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. સીએમ યોગીએ કહ્યું હતું કે ભારતમાં માત્ર રામ-કૃષ્ણ અને બુદ્ધની પરંપરા જ ચાલશે, બાબર અને ઔરંગઝેબની પરંપરા ટકશે નહીં.સંભલને લઈને વિપક્ષના હોબાળા બાદ તેમણે કહ્યું હતું કે કોર્ટના આદેશનું પાલન કરવાની જવાબદારી પ્રશાસનની છે. સંભલમાં પણ વહીવટીતંત્ર આવું જ કરી રહ્યું છે. યોગીએ કહ્યું હતું કે સંભલમાં તુર્ક અને પઠાણો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. શફીકુર રહેમાન બર્ક (એસપીના સંભલના ભૂતપૂર્વ સાંસદ) પોતાને ભારતનો નાગરિક નહીં પરંતુ બાબરનો સંતાન ગણાવે છે. હવે, તમારે નક્કી કરવાનું છે કે તમે આક્રમણકારોને તમારા આદર્શ માનો છો કે રામ-કૃષ્ણ અને બુદ્ધની પરંપરાને. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં માત્ર રામ-કૃષ્ણ અને બુદ્ધની પરંપરા જ ચાલશે, નહીં કે બાબર અને ઔરંગઝેબની પરંપરા. વીજચોરીના મુદ્દે વિપક્ષ પર ચાબખા મારતા તેમણે કહ્યું હતું કે અમે વિચારતા હતા કે મીની સ્ટેશન પાવર કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે, પરંતુ સંભલમાં ધાર્મિક સ્થળો પરથી મીની પાવર સ્ટેશન ચલાવાઈ રહ્યા છે. ઘણી એવી મસ્જિદો મળી આવી છે જ્યાં ગેરકાયદે સબ-સ્ટેશનો બનાવવામાં આવ્યા છે અને વીજળીના ગેરકાયદેસર કનેક્શન દ્વારા મફતમાં વીજવિતરણ કરવામાં આવતું હતું.તેમણે વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં પાવર કોર્પોરેશનનો લાઇનલોસ ૩૦થી ઓછું છે, પરંતુ સંભલના દીપસરાય અને મીરાસરાય વિસ્તારોમાં લાઇનલોસ ૭૮ અને ૮૨ ટકા છે. આ દેશના સંસાધનોની લૂંટ છે. જો વહીવટીતંત્ર તેની ફરજ નિભાવે છે તો તેને ચોર ગણાવાય છે અને બીજી તરફ, જો વહીવટીતંત્ર ચોરી પકડી પાડે છે તો તેને અત્યાચારમાં ખપાવાય છે.ઉત્તરપ્રદેશના સંભલમાં ભસ્મા શંકર મંદિરના કુવામાંથી ત્રણ ક્ષતિગ્રસ્ત મૂર્તિઓ મળી આવી છે. પ્રાચીન મંદિર અને કુવાનું ખોદકામ કરાઈ રહ્યું છે. લગભગ ૧૮ ફૂટ જેટલું ખોદકામ થઈ ચુક્યું છે. આ દરમિયાન સોમવારે સૌથી પહેલા પાર્વતીજીની મૂર્તિ મળી, જેનું માથું તૂટેલું હતું. પછી ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ મળી આવી હતી તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. શ્રી કાર્તિક મહાદેવ મંદિર(ભસ્મા શંકર મંદિર) ૧૩ ડિસેમ્બરે ફરીથી ખોલાયુ હતું, જેમાં ઢાંકેલી મૂર્તિઓ મળી આવી છે. મંદિરમાં ભગવાન હનુમાનની એક મૂર્તિ અને એક શિવલિંગ હતું. એ ૧૯૭૮થી બંધ જ હતું. મંદિરની પાસે એક કુવો પણ ફરીથી ખોલવામાં આવશે.